અમદાવાદ

ભાજપના સૌરાષ્ટ્રના ગઢનો કાંગરો ખર્યોઃ ગોપાલ ઈટાલિયાની જીતથી અનેક નેતાઓની શાખ લાગી દાવ પર

અમદાવાદ: ગુજરાતમાં આજે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક (Visavadar Assembly Seat)ની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 17 હજાર કરત વધુ મત આપીને ભવ્ય જીત મેળવી છે. આ બંને બેઠકના પરિણામ પર માત્ર ઉમેદરવારની નહીં પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા નેતાની કારકિર્દી પણ નિર્ણાયક બનાવશે તેવું રાજકીય સૂત્રો માની રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે વિસાવદર બેઠક પર ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાની ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી હતી. આ બેઠક પર ભાજપે કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા અને કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકિટ આપી હતી. જો કે સીધી ટક્કર ભાજપ અને આપ વચ્ચે હતી.

જયેશ રાદડિયાને સોંપી હતી જવાબદારી

ભાજપે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે વિધાનસભા ચૂંટણી પ્રભારી તેમજ ચૂંટણી સંયોજક-સહ સંયોજકની નિમણુંક કરીને દિગ્ગજ નેતાને જવાબદારી સોંપી હતી. પ્રભારી તરીકેની જવાબદારી જેતપુરના ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના નેતા જયેશ રાદડીયા અને રાજકોટના પૂર્વ શહેર પ્રમુખ કમલેશ મીરાણીને સોંપવામાં આવી હતી. તેમજ જુનાગઢ પૂર્વ જીલ્લા ઉપપ્રમુખ ભરત વડાલીયાને સંયોજકની જવાબદારી સોંપવામાં આવી હતી. જુનાગઢ પૂર્વ જીલ્લા મંત્રી નરેન્દ્ર કોટીલાને સહ સંયોજકની જવાબદારી સોંપવામાં આવી હતી.

જયેશ રાદડિયાને ભાગે ‘અપજશ’

આ બેઠક પર પ્રચાર માટે ભાજપે કમરતોડ મહેનત કરી હતી. ઉમેદવારી નોંધાવવા સમયે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્યારબાદ સી. આર. પાટીલ, હર્ષ સંહવી, પ્રફુલ પાનશેરિયા, રાજેશ ચુડાસમા સહિતના અનેક નેતાઓએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. ખાસ કરીને જવાબદારી પૂર્વ કેબિનેટ પ્રધાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાને શિરે હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે આ બેઠકની જીત જયેશ રાદડિયા માટે ઘણીબધી બાબતથી લાભકારી નીવડે તેવી ચર્ચા હતી પરંતુ ચૂંટણીના પરિણામોથી હવે આ દિશા પલટાઈ તેવા સંકેતો મળી રહ્યા છે.

ભાજપ નેતાઓનું પાણી મપાયું

કડી બેઠક આમ તો ભાજપનો ગઢ ગણાય છે પણ કોંગ્રેસની પણ ટક્કર રહી હતી, વળી આ બેઠક પર ઉમેદવારની પસંદગી વખતે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું ખાસ કાઇ ચાલ્યું નહોતું પરંતુ કડી બેઠકના પરિણામોએ ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓના પાણીનું માપ આપી દીધું છે. જ્યારે વિસાવદર બેઠક પરની ચૂંટણીના પરિણામોએ સૌરાષ્ટ્રના નેતાઓના ગજની પણ સાબિતી આપી દીધી છે.

આ પણ વાંચો…વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત, કડીમાં ભાજપે ભગવો લહેરાવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button