ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના નિર્ણયની ભારતને થશે શું અસર, જાણો વિગતે

નવી દિલ્હી : ઇરાન પર અમેરિકાએ કરેલા હુમલા બાદ ઇરાન આક્રોશમાં છે. તેમજ તેણે સમગ્ર વિશ્વને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ઇરાનના આ નિર્ણયની ભારત પર મોટી અસર નહિ પડે તેવી શક્યતા છે. કારણ કે ભારત ક્રૂડ ઓઇલ આયાત માટે ફક્ત એક જ સ્ત્રોત કે માર્ગ પર નિર્ભર નથી.
આ અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રૂડ ઓઇલ આયાતમાં વૈવિધ્યીકરણ કર્યું છે. પુરીએ X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય ઓઇલ કંપનીઓ પાસે ઘણા અઠવાડિયા સુધી તેલ પુરવઠો રહે છે અને ભારતીય નાગરિકોને તેલ પુરવઠાની સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભારત 40 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે
તેમણે જણાવ્યું છે કે, ભારત પહેલા 27 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરતું હતું, હવે તે 40 દેશો પાસેથી આયાત કરે છે. ભારત દરરોજ 5.6 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. આમાંથી લગભગ 1.5-2 મિલિયન બેરલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ એશિયામાં ભારે તણાવ હોવા છતાં હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ બંધ કરવામાં આવ્યો ન હતો.
ભારતનું 38 ટકા ક્રૂડ ઓઇલ રશિયાથી આવે છે
ભારત હવે રશિયા, અમેરિકા અને બ્રાઝિલથી પણ ક્રૂડ ઓઇલ આયાત કરી રહ્યું છે. રશિયા સુએઝ કેનાલ, કેપ ઓફ ગુડ હોપ અથવા પેસિફિક મહાસાગર દ્વારા તેનું ક્રૂડ ઓઇલ મોકલે છે. ભારતનું 38 ટકા ક્રૂડ ઓઇલ રશિયાથી આવે છે. ભારત કતારથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આયાત કરે છે અને કતાર ગેસ મોકલવા માટે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરતું નથી.
74 દિવસ માટે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ઉપલબ્ધ
આ ઉપરાંત, ભારત પાસે LNG આયાત માટે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને બ્રાઝિલના વિકલ્પો પણ છે. ભારતે ક્રૂડ ઓઇલ સંગ્રહ પર ભાર મૂક્યો છે ભારત પાસે 74 દિવસ માટે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ છે. આ ઉપરાંત, સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ 9.5 દિવસનો છે. પેટ્રોલિયમ મંત્રાલય દરરોજ સાંજે ક્રૂડ ઓઇલના પુરવઠા અને ઉપલબ્ધતાની સમીક્ષા કરે છે.
આફ્રિકા અને અન્ય પ્રદેશોમાંથી પણ ક્રૂડ ઓઇલ આયાત કરી શકાશે
પચાસ ટકા LPG સ્થાનિક સ્ત્રોતોમાંથી પૂરું પાડવામાં આવે છે અને તેનો પૂરતો સ્ટોક છે. ભારત ક્રૂડ ઓઇલની નિકાસ પણ કરે છે અને જો સ્થાનિક મોરચે જરૂર પડે તો નિકાસ બંધ કરી શકાય છે. જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય છે, તો ભારત પશ્ચિમ આફ્રિકા અને અન્ય પ્રદેશોમાંથી પણ ક્રૂડ ઓઇલ આયાત કરી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે નૂર અને વીમાનો ખર્ચ વધી શકે છે.પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારે પહેલાથી જ આ પરિબળોને ધ્યાનમાં લીધા છે.
ભારતમાં હાલમાં 42 અબજ બેરલનો ભંડાર
ઓએનજીસી એ ભારતમાં 500 કુવા ખોદ્યા છે અને ભારતમાં હાલમાં 42 અબજ બેરલનો ભંડાર છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની શક્યતા ઓછી છે. તેના બદલે છેલ્લા ત્રણ વર્ષમાં પેટ્રોલના ભાવમાં ત્રણ વખત ઘટાડો થયો છે.
આ પણ વાંચો…ઈરાન ઈઝરાયલ યુદ્ધ તીવ્ર બન્યું, અમેરિકા મિડલ ઈસ્ટમાંથી તેના નાગરિકોને બહાર કાઢશે