ઓડિશામાં પૂરને કારણે બાલાસોરમાં ૫૦ ગામ પાણીમાં, એક વ્યક્તિ ગુમ

બાલાસોરઃ ઓડિશામાં સુવર્ણરેખા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી નીચે જતાં લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે. એક વ્યક્તિ પૂરના પાણીમાં વહી જવાથી ગુમ થયો હોવાના અહેવાલ છે. જ્યારે ૫૦થી વધુ ગામો જળમગ્ન રહ્યા હતા. આ માહિતી અધિકારીઓએ આપી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર બાલાસોર જિલ્લાના બાલિયાપાલ બ્લોકના બિષ્ણુપુર ગ્રામ પંચાયત વિસ્તારનો એક યુવાન શનિવારે પૂરના પાણીમાં વહી ગયા બાદ ગુમ થયો હતો. ઓડીઆરએએફના જવાનોએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
ઝારખંડના ચાંડીલ ડેમના અધિકારીઓ દ્વારા ઓડિશાને જાણ કર્યા વિના વધારાનું પાણી છોડ્યા પછીથી ઓછામાં ઓછા ચાર બ્લોક-બાલિયાપાલ, ભોગરાઇ, બસ્તા અને જલેશ્વર પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગીએ આ કૃત્યને ‘ગુનાહિત ગેરવર્તણૂક’ ગણાવી હતી.
બાલાસોર જિલ્લાના ચાર બ્લોકોમાં અચાનક આવેલા પૂરથી ૫૦,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા છે. જો કે વહીવટીતંત્રને સુવર્ણરેખા નદીનું જળસ્તર ઘટવા લાગ્યું હોવાથી હવે પરિસ્થિતિમાં સુધારો થવાની આશા છે. અધિકારીઓએ જણાવ્યું કે પૂરના પાણી ગામડાઓ અને ખેતરોમાં ઘૂસી ગયા છે. પૂરની સ્થિતિમાંથી બહાર નીકળવામાં લગભગ ચાર/પાંચ દિવસ લાગી શકે છે.
આ પણ વાંચો - ગુવાહાટીથી ચેન્નઈ જતી ફ્લાઈટનું બેંગલુરૂમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ
રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા માટે બોટ અને ફાયર સર્વિસ(૫ ટીમો), ઓડીઆરએએફ(૩) અને એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે પૂરના પાણીમાં ડૂબેલા ગામડાના રસ્તાઓને કારણે હવે હોડી જ એક માત્ર સંપર્કનું સાધન છે. આ દરમિયાન અસરગ્રસ્ત ગામડાઓના ઘણા લોકો નદીના પાળા તરફ ચાલ્યા ગયા છે અને પોલીથીન શીટ હેઠળ આશરો લઇ રહ્યા છે.