બુમરાહનો અસલ મિજાજ ઇંગ્લૅન્ડે જોઈ લીધો, પણ પૉપ અડીખમ…
ત્રણેય વિકેટ વર્લ્ડ નંબર-વન બોલરે લીધી: ભારતના 471 રનના જવાબમાં ઇંગ્લૅન્ડના 3/209

લીડ્સઃ ઇંગ્લૅન્ડે અહીં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં શનિવારના બીજા દિવસે સાવચેતીભરી ઇનિંગ્સમાં 49 ઓવરમાં ત્રણ વિકેટે 209 રન કર્યા હતા. બ્રિટિશ ટીમની ત્રણેય વિકેટ જસપ્રીત બુમરાહે (Jaspreet Bumrah) લીધી હતી અને એ સાથે ઇંગ્લૅન્ડની ટીમે બુમરાહનો અસલ મિજાજ જોઈ લીધો હતો. જોકે વનડાઉન બૅટ્સમૅન ઑલી પૉપ (100 નોટઆઉટ, 131 બૉલ, તેર ફોર) ક્રીઝમાં અડીખમ હતો.
ઓપનિંગ બૅટ્સમૅન ઝેક ક્રોવ્લી (4 રન), બીજા ઓપનર બેન ડકેટ (62 રન, 94 બૉલ, નવ ફોર) અને જૉ રૂટ (28 રન, 58 બૉલ, બે ફોર)ની સૌથી મહત્વની વિકેટ વર્લ્ડ નંબર-વન બોલર બુમરાહે લીધી હતી. 47મી ઓવરમાં બુમરાહે રૂટને પણ પૅવિલિયનમાં પાછો મોકલ્યો એ સાથે બ્રિટિશ બૅટિંગ લાઇન-અપ પર પ્રેશર વધી ગયું હતું. ઇંગ્લૅન્ડને જે બોલરનો સૌથી વધુ ડર હતો તેણે જ ત્રણેય બૅટ્સમૅનને પૅવિલિયન ભેગા કર્યા હતા. બુમરાહે પહેલાં તો ડકેટ અને ઑલી પોપ (Ollie Pope) વચ્ચેની બીજી વિકેટ માટેની 122 રનની ભાગીદારી અને પછી પૉપ-રૂટ વચ્ચેની ત્રીજી વિકેટ માટેની 80 રનની ભાગીદારી તોડી હતી.
જોકે ઑલી પૉપે વર્લ્ડ ક્લાસ બોલર બુમરાહ ઉપરાંતના બીજા ચાર ભારતીય બોલર (સિરાજ, ક્રિષ્ના, જાડેજા, શાર્દુલ)ને બરાબરની ટક્કર આપી હતી અને વિકેટ સાચવી રાખી હતી. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રવીન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુરને શનિવારે એકેય વિકેટ નહોતી મળી એ જોતાં હવે આજે ત્રીજા દિવસે ભારતીય ટીમ (Team India) યજમાનોને કેટલા સ્કોર સુધી સીમિત રાખે છે એ જોવું રહ્યું. ગઈ કાલની રમતને અંતે બ્રિટિશ ટીમ ભારતથી હજી 262 રન પાછળ હતી.

એ પહેલાં, લંચ બાદ ભારતનો દાવ 471 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. ત્યાર બાદ વરસાદને કારણે ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ સમયસર શરૂ નહોતો થઈ શક્યો. પરિણામે, ઇંગ્લૅન્ડની ઈનિંગ્સ રાત્રે નિર્ધારિત સમય કરતાં લગભગ પોણો કલાક લંબાઇ હતી. શુક્રવારના પહેલા દિવસના અંત સુધીના 3/359ના સ્કોર પરથી ટીમ ઇન્ડિયાએ શનિવારે રમવાનું શરૂ કર્યું હતું અને ફરી દિવસની સારી શરૂઆત કર્યા બાદ ધબડકો જોવો પડ્યો હતો. જોકે રિષભ પંત (134 રન, 178 બૉલ, છ સિક્સર, બાર ફોર) લંચ પહેલાંના સત્રનો સ્ટાર-અટ્રૅક્શન હતો. તે ટેસ્ટ મૅચમાં ટી-20 મોડમાં રમ્યો હતો અને તેણે કેટલાક વિક્રમો રચ્યા હતા.

ભારતનો સ્કોર એક તબક્કે ત્રણ વિકેટે 430 રન હતો, પણ બીજા 41 રનમાં બાકીની સાતેય વિકેટ પડી ગઈ હતી. ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે 66 રનમાં ચાર અને બીજા પેસ બોલર જૉશ ટન્ગે 86 રનમાં ચાર વિકેટ લીધી હતી. ભારતના ત્રણ સેન્ચુરિયનો (યશસ્વી જયસ્વાલ-101 રન, શુભમન ગિલ-147 રન અને રિષભ પંત-134 રન)એ કુલ મળીને 382 રન કર્યા હતા, પરંતુ જેમના પર બૅટિંગમાં મોટો મદાર હતો એ બાકીના પાંચ બૅટ્સમેનો (કેએલ રાહુલ, સાઇ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર)એ કુલ મળીને ફક્ત 54 રન કર્યા હતા.
રાહુલે શુક્રવારે 42 રનનું સાધારણ યોગદાન આપ્યું હતું, પરંતુ સુદર્શન (0), કરુણ નાયર (0), જાડેજા (11) અને શાર્દુલ (1)એ નિરાશ કર્યા હતા. સુદર્શનની આ પહેલી જ ટેસ્ટ છે અને કરુણ નાયર સાત વર્ષે ફરી ભારતીય ટીમમાં આવ્યો છે. જોકે તેઓ શૂન્યમાં આઉટ થયા હતા.