અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એર ઈન્ડિયા ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરશે, લાગ્યા બેદરકારીના ગંભીર આરોપ…

મુંબઈ: એર ઈન્ડિયાએ ફરજમાં બેદરકારી બદલ ત્રણ કર્મચારીઓને બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ડીજીસીએએ
ફ્લાઇટ ક્રૂ શેડ્યૂલિંગ સંબંધિત ગંભીર અને વારંવાર ઉલ્લંઘન બાદ એર ઇન્ડિયાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 297 લોકોના મોત બાદ આ આદેશ આપવામાં આપ્યો છે. આ અંગે એર ઇન્ડિયાએ પોતે માહિતી આપતાં ત્રણેય અધિકારીઓની બેદરકારી જાહેર કરી હતી. આ પછી ડીજીસીએ ત્રણેયને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે.
આ અધિકારીઓએ પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું
એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ અધિકારીઓએ પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. વિમાનમાં ફરજ પર મૂકતા પહેલા તમામ ક્રૂ સભ્યોના લાઇસન્સ તપાસવામાં આવે છે.પરંતુ તેમ કરવામાં આવ્યું ન હતું. મુસાફરોના આરામ અને તાજગી માટે જરૂરી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ અને ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમની સમીક્ષા દરમિયાન આ બેદરકારી બહાર આવી હતી. એવિએશન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ એ એરલાઇન્સ દ્વારા ક્રૂ મેનેજમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી એક સંકલિત સિસ્ટમ છે.
મુખ્ય અધિકારીઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો અભાવ
ડીજીસીએ એ 20 જૂનના રોજ એક આદેશ જાહેર કરીને કહ્યું હતું કે, સ્વૈચ્છિક ખુલાસાઓ ક્રૂ શેડ્યૂલિંગ, દેખરેખ અને આંતરિક જવાબદારીમાં નિષ્ફળતાઓ તરફ નિર્દેશ કરે છે. ખાસ ચિંતાનો વિષય એ છે કે આ ખામીઓ માટે સીધા જવાબદાર મુખ્ય અધિકારીઓ સામે કડક શિસ્તબદ્ધ કાર્યવાહીનો અભાવ છે. ડીજીસીઆઈ એ ત્રણ અધિકારીઓને સીધા જવાબદાર ઠેરવ્યા છે. ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ ચુરા સિંહ, ડિરેક્ટોરેટ ઓફ ક્રૂ શેડ્યૂલિંગ ઓપરેશન્સમાં ચીફ મેનેજર પિંકી મિત્તલ અને ક્રૂ શેડ્યૂલિંગ પ્લાનિંગ વિભાગના પાયલ અરોરાને દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ અધિકારીઓને ગંભીર અને વારંવાર ભૂલો માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
10 દિવસની અંદર કાર્યવાહી અંગે જાણ કરો
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ અધિકારીઓ સામે વિલંબ કર્યા વિના આંતરિક શિસ્ત કાર્યવાહી શરૂ કરવી જોઈએ અને આવી કાર્યવાહીના પરિણામની જાણ આ પત્ર જાહેર થયાની 10 દિવસની અંદર આ કાર્યાલયને કરવી જોઈએ. ડીજીસીએ જણાવ્યું હતું કે સમયપત્રક પ્રથાઓમાં સુધારાત્મક સુધારા પૂર્ણ ન થાય ત્યાં સુધી અધિકારીઓને ઓપરેશનલ સેવાથી દૂર કરવા અને ફ્લાઇટ સલામતી અને ક્રૂ પાલન પર સીધી અસર કરતા કોઈપણ પદ પર રહેશે નહીં.
ભવિષ્યમાં વધુ દેખરેખ રાખવા માટે આદેશ
આ આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભવિષ્યમાં કોઈપણ પોસ્ટ-ઓડિટ અથવા નિરીક્ષણમાં ક્રૂ શેડ્યુલિંગ ધોરણો, લાઇસન્સિંગ અથવા ફ્લાઇટ સમય મર્યાદાનું ઉલ્લંઘન કરવાના કિસ્સામાં કડક અમલીકરણ પગલાં લેવામાં આવશે. આ કિસ્સામાં લાઇસન્સ રદ કરી શકાય છે અથવા દંડ લાદવાની સાથે ઓપરેટરની પરવાનગી પાછી ખેંચી શકાય છે.