
નવી દિલ્હી : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને પાકિસ્તાનને આડકતરી રીતે ચેતવણી આપી છે. જેમાં ભારતમાં ઈરાની દૂતાવાસના ડેપ્યુટી મિશન ચીફ જાવેદ હુસૈનીએ શુક્રવારે કહ્યું હતું કે જો કોઈ ત્રીજો પક્ષ આ સંઘર્ષમાં સામેલ થશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. તેમણે કહ્યું હતું કે આશા છે કે પાકિસ્તાન અમારી સાથે ઊભું રહેશે. પાકિસ્તાને સમજવું પડશે કે જો આજે ઈઝરાયલને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઘણા વધુ દેશો પર હુમલા થશે.
ત્રીજા પક્ષના પ્રવેશથી જટિલતા વધશે
જાવેદ હુસૈનીએ કહ્યું હતું કે આ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ છે. તેમાં કોઈપણ ત્રીજા પક્ષના પ્રવેશથી જટિલતા વધશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમને વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત અંગે પ્રશ્ન કરવામાં આવ્યો. હુસૈનીએ કહ્યું, અમે ચેતવણી આપીએ છીએ કે જો કોઈ તૃતીય પક્ષ આ યુદ્ધમાં સામેલ થશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.
અસીમ મુનીરની રાજદ્વારી પ્રવૃત્તિઓ પર પ્રશ્નાર્થ
ઈરાની અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે તેમણે અસીમ મુનીરની તાજેતરની અમેરિકા મુલાકાતની નોંધ લીધી છે. થોડા અઠવાડિયા પહેલા જ તેમણે ઈરાનની મુલાકાત લીધી હતી અને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને મળ્યા હતા અને હવે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા છે. સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે ઈરાનનો પાડોશી દેશ પાકિસ્તાન ખરેખર કયા પક્ષમાં છે. હુસેનીએ સ્પષ્ટ કર્યું કે ભારત પ્રત્યે કોઈ નારાજગી નથી અને કહ્યું હતું કે તેહરાન ભવિષ્યમાં ભારત પાસેથી વધુ સારી સમજણ અને સહયોગની અપેક્ષા રાખે છે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી પર આક્ષેપ
ઈરાની રાજદ્વારીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી ઇઝરાયલના ઇશારે કામ કરી રહી છે અને G7 દેશો હંમેશા ઇઝરાયલની તરફેણ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન NPT(પરમાણુ અપ્રસાર સંધિ) પર હસ્તાક્ષર કરનાર છે. પરંતુ અમે બિનશરતી શરણાગતિ સ્વીકારીશું નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર બિનશરતી શરણાગતિ લખ્યા પછી આ નિવેદન આવ્યું છે. હુસેનીએ સખત પ્રતિક્રિયા આપી અને પુનરાવર્તિત કર્યું, અમે બિનશરતી શરણાગતિ સ્વીકારીશું નહીં એ ચોક્કસ છે.