એર ઈન્ડિયાને મોટો ફટકો, ફ્લાઇટ બુકિંગમાં 20 ટકાનો ઘટાડો, ભાડા પણ 15 ટકા સુધી ઘટયા…

મુંબઈ : અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશ બાદ એરલાઇન કંપની સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જેમાં મળતી માહિતી બાદ વિમાન અકસ્માત બાદ એર ઇન્ડિયાના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર ફ્લાઇટ બુકિંગમાં લગભગ 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સ ના પ્રમુખ રવિ ગોસાઇને આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન એર ઇન્ડિયાના સરેરાશ ભાડામાં પણ 8 થી 15 ટકાનો ઘટાડો થયો છે. આ અંગે પૂછવામાં આવતા એર ઇન્ડિયાના પ્રવક્તાએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય બુકિંગમાં ઘટાડો જોવા મળ્યો
રવિ ગોસાઈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના બાદ અમે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના બુકિંગમાં કામચલાઉ ઘટાડો જોયો છે, જોકે ઘટાડાના ચોક્કસ આંકડા રૂટ પ્રમાણે બદલાય છે. અમારો અંદાજ દર્શાવે છે કે આંતરરાષ્ટ્રીય બુકિંગમાં લગભગ 18-22 ટકાનો ઘટાડો થયો છે અને ડોમેસ્ટિક બુકિંગમાં પણ તાત્કાલિક ધોરણે 10-12 ટકાનો ઘટાડો થયો છે.
જોકે, આ ટૂંકા ગાળાની ધારણા આધારિત પ્રતિક્રિયા હોય તેવું લાગે છે કારણ કે સમય જતાં વસ્તુઓ સામાન્ય રીતે સુધરે છે.તેમણે કહ્યું કે આગામી દિવસોમાં આ વલણ સામાન્ય બની શકે છે. ડીજીસીઆઈ દ્વારા પણ એર ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણોનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટ સસ્તી થઈ
ઇન્ડિયન એસોસિએશન ઓફ ટુર ઓપરેટર્સના પ્રમુખે જણાવ્યું હતું કે એર ઇન્ડિયાના મુખ્ય રૂટ પર ભાડામાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ડોમેસ્ટિક ટિકિટના ભાવમાં સરેરાશ 8 થી 12 ટકાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય રૂટ ખાસ કરીને યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના ભાડામાં 10-15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 241 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12 જૂનના રોજ અમદાવાદ થી લંડન જઇ રહેલી ફ્લાઇટ ઉડાન ભરવાની ગણતરીની મિનીટમાં ક્રેશ થઇ હતી. જે બી. જે. મેડિકલ કોલેજના હોસ્ટેલ બ્લોકને અથડાઇ હતી. જેમાં 241 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત હોસ્ટેલ રહેલા મેડિકલ સ્ટુડન્ટના પણ મોત થયા અને ઇજાઓ થઈ છે.