શેરબજાર ત્રણ દિવસની મંદી ખંખેરી કેમ ઉછળ્યું! ટ્રિગર ટ્રમ્પનું કે આરબીઆઈનું?

નિલેશ વાઘેલા
મુંબઇ: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000 થી ઉપર: બજારમાં સુધારા પાછળના મુખ્ય પરિબળોમાં, ટ્રમ્પના સંકેત, આરબીઆઈના નીતિ ફેરફાર અને એફઆઈઆઈની નવી લેવાલીનો સમાવેશ થાય છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં તાત્કાલિક કોઈ નવી ઘટના ન ઘટવાથી રોકાણકારોએ થોડી રાહત અનુભવી હોવાથી સેન્સેક્સ, નિફ્ટી સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
શુક્રવારે સતત ત્રણ સત્રના ઘટાડા પછી, એશિયન બજારોમાં વધારો અને વિદેશી ભંડોળના પ્રવાહમાં વધારો થયા પછી, ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો લગભગ એક ટકાના તીવ્ર સુધારા સાથે ઉછળ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 824.5 પોઈન્ટ અથવા 1.01 ટકા વધીને 82,186.37 ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીએ પહોંચ્યો, જ્યારે નિફ્ટી 247.2 પોઈન્ટ અથવા 0.99 ટકા વધીને 25,040.45ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઇશર મોટર્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ અને મારુતિ સુઝુકી સેન્સેક્સ પેકમાં ટોચના ઉછાળામાં હતા.
તેજી પાછળના મુખ્ય પરિબળો:
૧) સકારાત્મક એશિયન સંકેતો: જાપાનના નિક્કી ૨૨૫, દક્ષિણ કોરિયાના કોસ્પી, હોંગકોંગના હેંગસેંગ અને ચીનના શાંઘાઈ કમ્પોઝિટ સહિતના મુખ્ય એશિયન બેન્ચમાર્ક ઇન્ડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ થયા. પ્રાદેશિક બજારોમાં મજબૂત વલણથી સ્થાનિક રોકાણકારોના સેન્ટિમેન્ટમાં સુધારો થયો.
૨) એફઆઈઆઈની ખરીદી: ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ૯૩૪.૬૨ કરોડ રૂપિયાના સ્થાનિક ઇક્વિટીના ચોખ્ખા ખરીદદારો રહ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ ૬૦૫.૯૭ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. વિદેશી રોકાણ પ્રવાહ ચાલુ રહેવાથી સ્થાનિક બજારમાં સેન્ટિમેન્ટમાં સુધારો થયો.
૩) રૂપિયાની મજબૂતાઈ: શરૂઆતના વેપારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો ૧૩ પૈસા વધીને ૮૬.૬૦ રૂપિયા બોલાયો હતો, જે વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઘટાડો અને નબળા ગ્રીનબેકને કારણે શક્ય બન્યું. મજબૂત રૂપિયો આયાત ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે અને વિદેશી રોકાણકારોની લેવાલીને વેગ આપે છે.
૪) ક્રૂડના ભાવમાં ઘટાડો: બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૨.૪૫ ટકા ઘટીને ૭૬.૯૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. નીચા ક્રૂડના ભાવ ભારત માટે સકારાત્મક છે, જે તેની ઇંધણની જરૂરિયાતોનો ક્રૂડ ઓઈલનો મોટો હિસ્સો આયાત કરે છે.
૫) ઇન્ડિયા વિક્સ ઘટ્યો: માર્કેટ વોલેટિલિટીનું માપદંડ, ઇન્ડિયા વી આઈ એક્સ ૪ ટકાથી વધુ ઘટીને ૧૩.૬૬ થયો, જે રોકાણકારોના ગભરાટમાં ઘટાડો અને ઇક્વિટી બજારોમાં નજીકના ગાળાની સ્થિરતામાં સુધારો દર્શાવે છે.
૬) ઇન્ડેક્સ હેવીવેઇટ્સમાં ખરીદી: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ અને એચડીએફસી બેંક જેવા બ્લુ-ચિપ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી, જેણે દિવસના ફાયદામાં નોંધપાત્ર ફાળો આપ્યો.
૭) પીએસયુ પ્રોજેક્ટ ફાઇનાન્સ શેરોમાં તેજી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રોજેક્ટ ફાઇનાન્સ પરની માર્ગદર્શિકાને અંતિમ સ્વરૂપ અપાયા પછી ઇરડા, પીઈસી, આર ઈસી, હુડકો અને આઈઆરએફસી જેવી જાહેર ક્ષેત્રની પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ કંપનીઓના શેરમાં તેજી આવી. ૧૯ જૂને જારી કરાયેલા અંતિમ ધોરણોમાં મે મહિનામાં જારી કરાયેલા ડ્રાફ્ટ પ્રસ્તાવની તુલનામાં બાંધકામ અને ઓપરેશનલ તબક્કા દરમિયાન ઓછી જોગવાઈની જરૂર છે, જે ધિરાણકર્તાઓની ચિંતાઓને હળવી કરે છે. આરબીઆઈ પ્રોજેક્ટ ફાઇનાન્સના નિયમોમાં નરમાઈથી ધિરાણકર્તાઓને રાહત મળશે આ ક્ષેત્રના કેટલાક શેર 4% સુધી વધ્યા હતા.
8) ભૂરાજકીય ટેન્શનમાં રાહત: ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં તાત્કાલિક કોઈ વધારો ન થવાથી રોકાણકારોએ થોડી રાહત અનુભવી. વ્હાઇટ હાઉસે
ઈરાન સાથે વાટાઘાટોની શક્યતાઓને ટાંકીને જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી બે અઠવાડિયામાં સંભવિત સંડોવણી અંગે નિર્ણય લેશે.
આ પણ વાંચો…શેરબજાર: સેકન્ડરી માર્કેટની અફડાતફડી વચ્ચે પ્રાઇમરી માર્કેટ એકશન મોડમાં