
નવી દિલ્હી : અમદાવાદના 12 જૂનના રોજ એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ટાટા ગ્રુપ એરલાઇન્સ સતત સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ત્યારે હવે એર ઈન્ડિયાએ 21 જૂનથી 15 જુલાઈ વચ્ચે 16 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત ત્રણ આંતરરાષ્ટ્રીય સ્થળોએ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ સ્થગિત રહેશે. ટાટા ગ્રુપ એરલાઇન્સે કહ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય સમય પત્રક સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો અને મુસાફરોને છેલ્લી ઘડીની અસુવિધા ઘટાડવાનો છે.
16 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો
એર ઇન્ડિયાએ જણાવ્યું કે તેઓ વાઇડબોડી પ્લેન સાથેની તેમની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સંખ્યામાં 15 ટકાનો ઘટાડો કરશે. એરલાઇને એક નિવેદનમાં કહ્યું, કે દિલ્હી-નૈરોબી, અમૃતસર-લંડન (ગેટવિક) અને ગોવા (મોપા)-લંડન (ગેટવિક) પરની સેવાઓ 15 જુલાઈ સુધી સ્થગિત રહેશે. આ ઉપરાંત ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને દૂર પૂર્વના શહેરોને જોડતા 16 આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે.
એર ઇન્ડિયાએ ફરીથી પ્રભાવિત મુસાફરોની માફી માંગી
ટાટા ગ્રુપની કંપની એર ઇન્ડિયાએ તેના નિવેદનમાં કહ્યું, આ ઘટાડા સ્વેચ્છાએ પૂર્વ-ઉડાન સુરક્ષા તપાસમાં વધારો કરવાના નિર્ણયને કારણે છે તેમજ પશ્ચિમ એશિયામાં એરસ્પેસ બંધ થવાથી ઉદ્ભવતા વધારાના ફ્લાઇટ સમયગાળાને સમાયોજિત કરવા માટે છે. એર ઇન્ડિયાએ ફરીથી પ્રભાવિત મુસાફરોની માફી માંગી છે. એરલાઇને જણાવ્યું હતું કે તે અસરગ્રસ્ત મુસાફરોનો સંપર્ક કરી રહી છે જેથી તેમને તેમની પસંદગી મુજબ વૈકલ્પિક ફ્લાઇટ પર સ્થાનાંતરણ, મફત પુનઃનિર્ધારણ અથવા સંપૂર્ણ રિફંડની ઓફર કરી શકાય.
આ પણ વાંચો…અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ એર ઈન્ડિયાના સીઈઓ કહ્યું- ઉડાન પહેલા એન્જિન….