સચિને પહેલો ફોન-કૉલ પટૌડી-પરિવારને કર્યો અને ખાતરી આપી કે `મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ’

નવી દિલ્હીઃ સચિન તેન્ડુલકરે ગુરુવારે અહીં પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને જેવી ખબર પડી કે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની સિરીઝની ટ્રોફીનું નામ બદલાવાનું છે એટલે મેં તરત જ સદગત મન્સૂર અલી ખાન પટૌડીના પરિવારનો સંપર્ક કર્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે આ પ્રતિષ્ઠિત શ્રેણી સાથે મહાન કૅપ્ટન પટૌડીનું નામ જોડાયેલું રહે એ માટે હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ.’ ઉલ્લેખનીય છે કે શુક્રવાર, 20મી જૂને શરૂ થઈ રહેલી પ્રથમ ટેસ્ટથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝને ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી’ નામ આપવામાં આવ્યું છે. આ નવું નામ પટૌડી ટ્રોફી’ની (Pataudi Trophy) જગ્યાએ અપાયું છે. પટૌડી ટ્રોફી’ના સ્થાને નવું નામ આપવાનો નિર્ણય ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ તથા બીસીસીઆઇ (BCCI) દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવ્યો હતો.
બાવન વર્ષના સચિને (SACHIN TENDULKAR) 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી જે વિશ્વવિક્રમ છે. એ ઉપરાંત બીજા અનેક વિક્રમો તેના નામે અતૂટ છે. તેણે પીટીઆઇને એવું પણ કહ્યું હતું કે મને ખબર છે કે પટૌડી ટ્રોફીના નામે બીજું કોઈ નામ આપવાનો નિર્ણય બીસીસીઆઇ તથા ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ દ્વારા થોડા મહિના પહેલાં જ લેવામાં આવ્યો હતો. જોકે મને જેવી ખબર પડી કે આ ટ્રોફી પર જેમ્સ ઍન્ડરસનની સાથે મારું નામ જોડાવાનું છે ત્યારે મેં પહેલો ફોન-કૉલ પટૌડી પરિવારને કર્યો હતો.’ સચિને મુલાકાતમાં એવું પણ કહ્યું હતું કે ટાઇગર પટૌડી અનેક પેઢીના ખેલાડીઓ માટે પ્રેરક બન્યા છે એ ક્યારેય ન ભૂલાવું જોઈએ. જોકે હવે તેમના નામ બાબતમાં જે નિર્ણય લેવાયો એ બદલ હું ખુશ છું.’
પટૌડીનું નામ આ શ્રેણી સાથે સંકળાયેલું જ રહેશે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે સિરીઝની ટ્રોફી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી’ તરીકે ઓળખાશે અને વિજેતા કૅપ્ટનને પટૌડી મેડલ’ આપવામાં આવશે. સચિને બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી અને આઇસીસીના વર્તમાન ચૅરમૅન જય શાહ તેમ જ બ્રિટિશ ક્રિકેટ બોર્ડના મોવડીઓ સાથે ઘણી ચર્ચા કર્યા કરી હતી જેને પગલે પટૌડી મેડલ’ને લગતો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સચિને પીટીઆઇને કહ્યું, મેં પટૌડી પરિવારમાં ફોન કરીને તેમની સાથે ઘણી ચર્ચા કરી હતી જેમાં મેં તેમને કહ્યું હતું કે પટૌડીની પરંપરા જીવંત રહેવી જ જોઈએ અને એ માટે હું મારાથી બનતા બધા જ પ્રયત્નો કરીશ. ત્યાર બાદ મેં તરત જ જય શાહને તેમ જ બ્રિટિશ ક્રિકેટ બોર્ડના મોવડીઓ સાથે પણ ફોન પર ચર્ચા કરી હતી અને મારા વિચારો શૅર કર્યા હતા. શ્રેણીના વિજેતા સુકાનીને પટૌડીના નામનું મેડલ આપવાનું નક્કી થયું એ મને બહુ ગમ્યું. મેં ફોન-કૉલ્સ કરીને જે ચર્ચાઓ કરી એનું સકારાત્મક પરિણામ આવ્યું. ટ્રોફીને ઍન્ડરસન-તેન્ડુલકર નામ આપવાનું બન્ને દેશના ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું અને પટૌડી મેડલનો આરંભ કરવાનો નિર્ણય પણ આ જ બે ક્રિકેટ બોર્ડે સંયુક્ત રીતે લીધો એ મને બહુ ગમ્યું.’
આ પણ વાંચો…શુક્રવારથી ભારત-ઇંગ્લૅન્ડની પ્રથમ ટેસ્ટઃ બપોરે 3.30 વાગ્યે મુકાબલો શરૂ