મુંબઈ ભાજપનું જન સંપર્ક અભિયાન: પાલિકા ચૂંટણી પહેલા એક વ્યૂહાત્મક પગલું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ છેલ્લા અગિયાર વર્ષમાં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાના હેતુથી એક જનસંપર્ક પહેલની શરૂઆત કરી છે. આ ઝુંબેશ આગામી મુંબઈ મનપાની ચૂંટણીઓમાં પાર્ટીની સ્થિતિ મજબૂત બનાવશે એવી અપેક્ષા છે, એમ પાર્ટીના એક વિધાનસભ્યે ગુરુવારે જણાવ્યું હતું.
પાંચમી જૂનથી શરૂ થતા અને એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારની સિદ્ધિઓ, ખાસ કરીને શાસન અને કલ્યાણકારી યોજનાઓ સંબંધિત ક્ષેત્રોમાં કરવામાં આવેલા કામ અંગેની માહિતી આપવામાં આવશે. ભાજપના વિધાનસભ્ય પરાગ અલવણીએ એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે આ કવાયત સીધી રીતે ચૂંટણીઓ સાથે જોડાયેલી નથી, પરંતુ તે અનિવાર્યપણે સ્થાનિક સ્તરે પક્ષના ચૂંટણી હિતોને ટેકો આપશે.
આ પણ વાંચો - શું ભરત ગોગાવલેએ બંગાળી બાબા પાસે અઘોરી પૂજા કરાવી? વીડિયો વાયરલ થતા ખળભળાટ
આ વ્યૂહાત્મક પહેલમાં વિવિધ મતવિસ્તારોમાં બૂથ-સ્તરે બેઠકો અને પ્રદર્શનોનો સમાવેશ થાય છે, જેમાં યોગ દિવસની યાદગીરી અને જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ જેવા મુખ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કાર્યક્રમના ભાગ રૂપે મુંબઈ ઉપનગરના પાલક પ્રધાન આશિષ શેલાર જેવી અગ્રણી વ્યક્તિઓ સમુદાયને વધુ જોડવા માટે કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે, એવી માહિતી તેમણે આપી હતી.