કચ્છમાં હજુ તો વરસાદી માહોલ જામ્યો ત્યાં જ વીજશોકમાં બેનાં મોત

ભુજઃ ગુજરતભરમાં વરસાદી માહોલ છે અને કચ્છમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પહેલા વરસાદમાં જ કચ્છમાં બે જણે વીજશોકને લીધે જીવ ગુમાવ્યો છે, ત્યારે દર વરસાદે તંત્ર સતર્ક કેમ નથી રહેતું તે જોવાનું છે.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના લખુરાઇ ચાર રસ્તા પાસે નાગોર રોડ બાજુ રહેતા અને મજૂરીકામ કરતા ઉમર સિધિક કુંભારના પુત્ર રફીકને તેમના ઘર પાસેના ઇલેક્ટ્રિક થાંભલામાં જોરદાર વીજ કરંટ લાગતાં બનાવસ્થળે મોત નીપજ્યું હતું. બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે.
આ પ્રકારનો અન્ય બનાવ પ્રસિદ્ધ હાજીપીર ખાતે બનવા પામ્યો હતો જેમાં અત્રેની આર. એસ. કંપનીની લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક ફાગુ વિશ્વકર્માને ઘરની દીવાલને અડતાં વીજ કરંટ લાગ્યો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
આપણ વાંચો: એરપોર્ટ નજીક તમારું જો ઘર હોય તો આ નિયમો ખાસ વાંચી લેજો
લગ્નના 40 દિવસમાં જ નવવધૂની આત્મહત્યા
જયારે બીજી તરફ, ક્રાફટ વિલેજ તરીકે વૈશ્વિક નામના ધરાવતાં ભુજોડી ગામના વર્ધમાન નગરમાં રહેતી મૂળ મહારાષ્ટ્રની અને માત્ર ૪૦ દિવસ પૂર્વે જ લગ્નના તાંતણે બંધાયેલી ૨૦ વર્ષીય નવવધૂ પ્રતિક્ષા વિલાસ પૂકવેએ તેમજ ભુજના મિરજાપરમાં ૬૭ વર્ષીય પ્રૌઢ બિહારીલાલ વેલજી મૈચાએ ગળેફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી લેતાં પંથકમાં અરેરાટી પ્રસરી હતી.
મૂળ મહારાષ્ટ્રના સોલાપુર બાજુના હાલે માધાપર નવાવાસ વર્ધમાન નગરમાં રહેતા અને ૪૦ દિવસ પૂર્વે જ પરણેલી નવપરિણીતા પ્રતીક્ષા વિલાસ પૂકવેએ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી છાનબિન હાથ ધરી છે, આ ઉપરાંત ભુજના મિરજાપર ગામમાં રહેતા બિહારીલાલ મૈચાએ પણ કોઇ અજ્ઞાત કારણોસર પોતાના ઘરે પંખા પર દોરી બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે