અમરેલીના રાજુલામાં વરસાદથી તૂટેલો પુલ 24 કલાકમાં શરૂ કર્યો

અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાવેરા ગામ નજીક આવેલા પુલ પર મોટું નુકસાન થયું હતું. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રસ્તા પર આવેલા પુલ પર બંને તરફથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. પુલના ગાળાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષો, ઝાડી-ઝાંખરા અને કચરો ફસાઈ ગયો હતો.
તંત્ર અને માર્ગ-મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક પેટા વિભાગના સ્ટાફે 24 કલાક સતત કામગીરી કરી હતી.
આપણ વાંચો: 163 તાલુકામાં મેઘો મહેરબાન: ભાવનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ; આવતીકાલે જુનાગઢ-ગીર સોમનાથમાં રેડ એલર્ટ
વરસાદી પાણીના ધોવાણથી નુકસાન પામેલા એપ્રોચની મરામત કરવામાં આવી હતી. 24 કલાકમાં આ રોડ વાહન વ્યવહાર ફરી શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માર્ગ-મકાન વિભાગ દ્વારા ગામડાના અન્ય માર્ગો પર જ્યાં-જ્યાં ખાડા અને ધોવાણ જોવા મળશે, ત્યાં પણ સમારકામ કરવામાં આવશે.
ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઇંચ અને ગીર સોમનાથના વેરાવળમાં 2.1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 11 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો અને 69 તાલુકામાં 1 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે