અમરેલી

અમરેલીના રાજુલામાં વરસાદથી તૂટેલો પુલ 24 કલાકમાં શરૂ કર્યો

અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાવેરા ગામ નજીક આવેલા પુલ પર મોટું નુકસાન થયું હતું. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રસ્તા પર આવેલા પુલ પર બંને તરફથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. પુલના ગાળાઓમાં મોટા પ્રમાણમાં વૃક્ષો, ઝાડી-ઝાંખરા અને કચરો ફસાઈ ગયો હતો.

તંત્ર અને માર્ગ-મકાન વિભાગે તાત્કાલિક પગલાં લીધા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અને સ્થાનિક પેટા વિભાગના સ્ટાફે 24 કલાક સતત કામગીરી કરી હતી.

આપણ વાંચો: 163 તાલુકામાં મેઘો મહેરબાન: ભાવનગરમાં 10 ઇંચથી વધુ વરસાદ; આવતીકાલે જુનાગઢ-ગીર સોમનાથમાં રેડ એલર્ટ

વરસાદી પાણીના ધોવાણથી નુકસાન પામેલા એપ્રોચની મરામત કરવામાં આવી હતી. 24 કલાકમાં આ રોડ વાહન વ્યવહાર ફરી શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. માર્ગ-મકાન વિભાગ દ્વારા ગામડાના અન્ય માર્ગો પર જ્યાં-જ્યાં ખાડા અને ધોવાણ જોવા મળશે, ત્યાં પણ સમારકામ કરવામાં આવશે.

ગુજરાતમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ગુજરાતના 83 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં 3.19 ઇંચ અને ગીર સોમનાથના વેરાવળમાં 2.1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 11 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો અને 69 તાલુકામાં 1 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button