નવી મુંબઈમાં વૃદ્ધ ખેડૂતનો આત્મહત્યાનો પ્રયાસ

મુંબઈ: નવી મુંબઈ સ્થિત સિડકો મુખ્યાલય ખાતે 83 વર્ષના ખેડૂતે ઝેર ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અતિક્રમણ વિરોધી વિભાગ દ્વારા હેરાનગતિ કરાઇ રહી હોવાનો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવ્યો છે.
ખેડૂતની ઓળખ દત્તુ ભિવા ઠાકુર તરીકે થઇ હોઇ સિડકોના અધિકારીઓએ તેને રોક્યો હતો અને બાદમાં બેલાપુરની એમજીએમ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો.
ઠાકુરના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ઉરણ તાલુકાના ધતુમ ગામમાં પરિવારની માલિકીની જમીન એક પ્રોજેક્ટ માટે સિડકો દ્વારા હસ્તગત કરાઇ હતી, પણ વળતર ચૂકવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. જમીન પર ઠાકુરે શરૂ કરેલી પાર્કિંગની સુવિધા તાજેતરમાં અતિક્રમણ વિરોધી વિભાગ દ્વારા હટાવી દેવામાં આવી હતી, એવો દાવો પરિવારે કર્યો હતો.
આ પણ વાંચો - એટીએમમાંની રોકડ ચોરનારી ટોળકી પંજાબમાંથી પકડાઈ
સિડકોનાં પીઆરઓ પ્રિયા રતામ્બેએ કહ્યું હતું કે અનેક વિનંતીઓ છતાં ઠાકુરે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા નહોતા. (પીટીઆઇ)