સૂર્યકુમાર યાદવ તાબડતોબ ઇંગ્લૅન્ડ પહોંચી ગયો, જાણો છો શા માટે?

નવી દિલ્હીઃ ભારતનો ટી-20 કૅપ્ટન અને તાજેતરની આઇપીએલમાં સેકન્ડ-બેસ્ટ 717 રન કરનાર મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)નો સૂર્યકુમાર યાદવ ઇંગ્લૅન્ડ દોડી ગયો છે. ઘણા વિચારતા હશે કે ભારતની ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીને માંડ બે દિવસ બાકી છે ત્યારે સૂર્યકુમાર શા માટે ઇંગ્લૅન્ડ (England) ગયો હશે? બીજું, તેને તો ટી-20 સ્પેશિયાલિસ્ટ અને બીજી રીતે કહીએ તો મર્યાદિત ઓવર્સની મૅચોનો જ સ્પેશિયાલિસ્ટ ગણવામાં આવે છે તો પછી ટેસ્ટ-સિરીઝને ટાંણે કેમ તે ઇંગ્લૅન્ડ પહોંચી ગયો?
જોકે હકીકત સાવ જુદી જ છે. સૂર્યકુમાર સ્પોર્ટ્સ હર્નિયા (Sports Hernia)ને લગતી સારવાર સંબંધમાં સ્પેશિયાલિસ્ટ સાથે ચર્ચા કરવા અને તેમની સલાહ લેવા ઇંગ્લૅન્ડ ગયો છે.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડ સામેની પાંચ ટેસ્ટમાં ભારતના પાંચ ખેલાડીને રેકૉર્ડ કરવાની તક
સૂર્યકુમાર જરૂર પડશે તો સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી પણ કરાવશે. તે તાજેતરમાં આઇપીએલ પૂરી થયા પછી તરત જ મુંબઈ પ્રીમિયર ટી-20 લીગમાં પણ રમ્યો હતો.
સૂર્યાને મુંબઈ પ્રીમિયર ટી-20 લીગ દરમ્યાન દુખાવો શરૂ થયો હતો કે કેમ એની તો જાણ નથી, પણ તે ત્રણ મહિના એકસરખું રમ્યો તો છે જ.
આ પણ વાંચો: ઇંગ્લૅન્ડમાં ગંભીરની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાને મળશે આ દિગ્ગજનું કોચિંગ
સ્પોર્ટ્સ હર્નિયા નામની બીમારી પેડુંમાં નીચલા ભાગમાં થાય છે. સૂર્યાને પેટમાં જમણી તરફ નીચેના ભાગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે. હર્નિયાની બીમારી મોટા ભાગે ખેલાડીઓ અને ઍથ્લીટોને થતી હોવાથી એ ખાસ કરીને સ્પોર્ટ્સ હર્નિયા તરીકે ઓળખાય છે.
હવે ઑગસ્ટ-સપ્ટેમ્બર પહેલાં ભારતની કોઈ ટી-20 સિરીઝ ન રમાવાની હોવાથી સૂર્યાની દૃષ્ટિએ સ્પોર્ટ્સ હર્નિયાની સારવાર માટે હાલનો સમય એકદમ યોગ્ય છે. તે સર્જરી કરાવશે તો પછીથી બેંગલૂરુમાં બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતે આરામ અને રિહૅબિલિટેશન માટે પણ સમય આપી શકશે.