લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સાગરીત અમદાવાદમાં ઝબ્બે: ગોગામેડી હત્યા કેસમાં પણ હતો સંડોવાયેલો

અમદાવાદ: અષાઢી બીજ રથયાત્રા પૂર્વે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે લોરેન્સ બિશ્નોઈ ગેંગના એક સાગરીત મનોજ સાલવીની ધરપકડ કરી છે. રથયાત્રાની તૈયારીઓ અંતર્ગત ચાલી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસની સક્રિયતાને કારણે આ ધરપકડ શક્ય બની છે. મનોજ સાલવી અગાઉ સુખદેવસિંહ ગોગામેડી હત્યા અને કાવતરાના કેસમાં પણ પકડાયો હતો. તેનો લાંબો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તેની સામે કુલ 12 ગુના નોંધાયેલા છે.
શું હતી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા?
5 ડિસેમ્બર, 2023ના રોજ રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ધોળા દિવસે હુમલાખોરોએ ગોગામેડી પર ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ગોગામેડીને તાત્કાલિક મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં ગોગામેડીના ગાર્ડ દ્વારા કરવામાં આવેલ ગોળીબારમાં એક હુમલાખોરનું પણ મોત થયું હતું.
આ પણ વાંચો - ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી, શ્રમિકો દટાયા
હત્યાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી
આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લીધી હતી. તેણે લખ્યું હતું કે, “રામ-રામ ભાઈઓ, આજે જે સુખદેવ ગોગામેડીની હત્યા થઈ છે તે અમે કરાવી છે. હું તમને જણાવવા માગું છું કે, તે અમારા દુશ્મનો સાથે મળીને તેને સપોર્ટ કરતો હતો. તેને પૂર્ણ રીતે મજબૂત કરવાનું કામ કરતો હતો અને રહી વાત અમારા દુશ્મનોની તો તે પોતાના ઘરના દરવાજા પર પોતાની નનામી તૈયાર રાખે. ટૂંક સમયમાં જ તેમની સાથે મુલાકાત થશે.”