આખરે ૨૧ વર્ષ બાદ કચ્છ યુનિવર્સીટીને નેક(NAAC)ની માન્યતા મળી…
વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમ્યાન કચ્છ યુનિ.દ્વારા થયેલા વિવિધ શૈક્ષણિક કર્યોનાં મૂલ્યાંકન બાદ નેક દ્વારા સી-ગ્રેડ અપાયો

ભુજ: ભુજના મુંદરા રોડ પર સ્થિત ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટીને તેની સ્થાપનાનાં ૨૧ વર્ષ બાદ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ(નેક)ની માન્યતા મળતાં કચ્છમાં ઉચ્ચ શિક્ષણના વિકાસના નવાં દ્વાર ખૂલશે તેવો શિક્ષણવિદોનો આશાવાદ વધુ પ્રબળ બન્યો છે.
વર્ષ ૨૦૧૮થી ૨૦૨૩ દરમિયાન કચ્છ યુનિવર્સીટીમાં કરવામાં આવેલા વિવિધ શૈક્ષિણક કાર્યોનાં મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા સી-ગ્રેડ સાથે માન્યતા આપવામાં આવી છે. વર્ષ ૨૦૦૪માં જયારે કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે યુ.જી.સી.ના ૨(એફ)ની માન્યતા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં યુ.જી.સી.ના ૧૨(બી)ની માન્યતા પ્રાપ્ત કર્યા બાદ,કચ્છ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદની માન્યતા મેળવવા માટે કવાયત શરૂ કરી હતી, જો કે સમસ્ત વિશ્વને બાનમાં લેનારી કોરોના વૈશ્વિક મહામારી અને અન્ય સંજોગોનાં પરિણામે નેકની માન્યતા માટે ભાગ લઈ શકી ન હતી.
વર્ષ ૨૦૨૪માં જાણીતા શિક્ષણવિદ ડો.મોહનભાઇ પટેલની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે કાયમી નિમણૂક થતાં જ તેમણે નેકની માન્યતા માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલ ગોર અને આઇક્યુએસી કો-ઓર્ડિનેટર ડો. કાશ્મીરા મહેતાનાં માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના સમગ્ર ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફ દ્વારા એક વર્ષની મહેનત દરમિયાન ૨૦૧૮થી ૨૦૨૩ના વિવિધ કાર્યોને નેકના માપદંડ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં. નેકની ટુકડી ગત ૩થી ૫ જૂન દરમિયાન કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ તથા ઓનલાઈન મુલાકાત લીધી હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા સી-ગ્રેડ સાથે આપી હતી.
ઉલ્લેખનીય છે કે, નેકની(NAAC) માન્યતા માટે યુનિવર્સિટી દ્વારા થતા વિવિધ કાર્યોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં અભ્યાસક્રમ, શિક્ષણ અને અધ્યયનની પ્રક્રિયાઓ, સંશોધનોમાં નવીનતા, યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લર્નિંગ રિસોર્સીસ, વિદ્યાર્થી સહાય અને પ્રગતિ, શાસન, નેતૃત્વ અને વ્યવસ્થાપન તથા સંસ્થાકીય મૂલ્યો અને શ્રેષ્ઠ પ્રથાઓ જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થાય છે. કુલસચિવ ડો. અનિલ ગોર દ્વારા નેક પ્રક્રિયામાં ભાગ લેવાના ઉત્તમ કાર્ય માટે કુલપતિ ડો. મોહન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો અને આઇક્યુએસીના વડા ડો.કાશ્મીરા મહેતાને પણ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને યુનિવર્સિટીના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ ડો. ગૌરવ ચૌહાણ કે જેમણે નેકની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે અરજીથી પિયર ટીમની વિઝિટ દરમિયાન યુનિવર્સિટીના સત્તાધિકારીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી અને યુનિવર્સિટીની નેકની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું તેના માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
દરમ્યાન, કચ્છ યુનિવર્સીટીને નેકની માન્યતા મળી તેમાં ૧.૯૧ સંચિત ગ્રેડ પોઈન્ટ સરેરાશ (સીજીપીએ) અપાયા છે. બી ગ્રેડ મેળવવાથી યુનિ.માત્ર ૦.૦૯ સીજીપીએ પોઈન્ટથી રહી જતાં આ સી ગ્રેડ મળ્યો છે. આ સી-ગ્રેડનાં કારણોમાં કોરોના મહામારી, અન્ય કુદરતી આફતો, કાયમી પ્રાધ્યાપક અને કર્મચારીઓની અછત, મર્યાદિત રીતે કરાયેલા ઓછા સંશોધન કાર્ય, વિદ્યાર્થીઓનું કચ્છ બહાર સ્થળાંતર અને યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલોપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળો કારણભૂત હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે.
કુલપતિ ડો. મોહનભાઇ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, અમુક મર્યાદાઓનાં કારણે યુનિવર્સિટીને સી ગ્રેડ પ્રાપ્ત થયો છે. ખાસ કરીને સંશોધન ક્ષેત્રમાં જોઇએ તેટલું કાર્ય ન થતાં ગ્રેડિંગ અપેક્ષાથી થોડું ઓછું છે. ડો. પટેલે ઉમેર્યું કે, ભવિષ્યમાં સારા ગ્રેડ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ આયામો હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટીના જે નબળાં પાસાંઓ નેક દ્વારા તેમના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે, તે મુદ્દે વધુ સારા પ્રયત્નો કરી સુધારવામાં આવશે. નેકની માન્યતા મળતાં મોટો ફાયદો એ થશે કે, વિદ્યાર્થીઓની માર્કશીટમાં એક્રેડિટેટેડ લખાશે જે તેમની કારકિર્દી માટે ઉપયોગી બનશે વળી કેન્દ્ર સ્તરેથી મળતી ગ્રાન્ટમાં વધારા સાથે જે કોઇ નવી યોજના અમલમાં મુકાય તેનો લાભ મેળવી શકાશે, તો નેશનલ રેન્કિંગમા પણ કચ્છ યુનિ.પોતાની હિસ્સેદારી નોંધાવી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.