ભારત અને કેનેડા સંબંધોમાં સુધારાના સંકેત, બંને દેશ હાઈ કમિશનરોની ફરીથી નિમણૂક કરવા સંમત…

ટોરેન્ટો : ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સબંધો પુન: સ્થાપિત થવાના અણસાર મળી રહ્યા છે. જેમાં G7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડા પ્રધાને માર્ક કાર્ની વચ્ચે પ્રથમ ઔપચારિક મુલાકાત થઈ હતી. આ દરમિયાન, બંને નેતાઓ રાજધાનીઓમાં હાઇ કમિશનરોની(રાજદૂતો) ફરીથી નિમણૂક કરવા સંમત થયા છે. તેમજ વાતચીત દરમિયાન બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય આતંકવાદ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહયોગનું વચન આપ્યું છે.
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો મહત્વપૂર્ણ : પીએમ મોદી
ભારત અને કેનેડાના વડા પ્રધાને વચ્ચે પરસ્પર ટેકનોલોજી, શિક્ષણ, કૃષિ અને ઉર્જા સુરક્ષા ક્ષેત્રે વિશાળ શક્યતાઓ પર કામ કરવા સંમત થયા. કેનેડાના પીએમ કાર્નીએ એઆઈ અને ઉર્જા ક્ષેત્રમાં સહયોગની શક્યતા વ્યક્ત કરી છે. કેનેડાના પીએમ કાર્ની સાથેની મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે ઘણી કેનેડિયન કંપનીઓ ભારતમાં રોકાણ કરે છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો લોકશાહી મૂલ્યો માટે સમર્પિત છે. આ માટે, આપણે લોકશાહી અને માનવતાને મજબૂત બનાવવી પડશે.

ભારતના નેતૃત્વ અને મુદ્દાઓના મહત્વનો પુરાવો : કાર્ની
જ્યારે કેનેડાના વડા પ્રધાને કહ્યું કે G7 માં પીએમ મોદીનું સ્વાગત કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. મને લાગે છે કે ભારત વર્ષ 2018 થી G7 માં આવી રહ્યું છે અને જે ભારતના નેતૃત્વ અને મુદ્દાઓના મહત્વનો પુરાવો છે. તેમણે કહ્યું કે આપણે સાથે મળીને ઊર્જા સુરક્ષા, ઊર્જા સંક્રમણ, એઆઇ ફ્યુચર, આંતરરાષ્ટ્રીય દમન અને આતંકવાદ સામે લડાઈ સહિતના મુદ્દાઓનો સામનો કરવા માંગીએ છીએ. પીએમ મોદીની અહિયાં હોવું ગૌરવની બાબત છે.

ઓક્ટોબર 2024 સુધી બંને દેશોમાં કોઈ હાઈ કમિશનર પોસ્ટ ન હતા
ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા નથી. 18 સપ્ટેમ્બર 2023ના રોજ, જ્યારે કેનેડાના તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે બંને દેશો વચ્ચે તણાવ ખૂબ વધી ગયો. આ વિવાદને કારણે ભારતે 6 કેનેડિયન અધિકારીઓને હાંકી કાઢ્યા. જ્યારે કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સહિત અધિકારીઓની છૂટ સમાપ્ત કરી હતી. તેમજ ઓક્ટોબર 2024 સુધી બંને દેશોમાં કોઈ હાઈ કમિશનર પોસ્ટ કરવામાં આવ્યા ન હતા.
