વિક્રોલી બાદ હવે દક્ષિણ મુંબઈનો કર્ણાક બ્રિજ ખુલ્લો મુકવાની તૈયારી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિક્રોલીનો રેલવે ઓવર બ્રિજ ગયા અઠવાડિયે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયા બાદ હવે મુંબઈ મહાનગરપાલિકા આગામી અઠવાડિયા સુધીમાં દક્ષિણ મુંબઈનો કર્ણાક બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી કરી રહી છે. બ્રિજનું બાંધકામ લગભગ પૂરું થઈ ગયું છે અને પાલિકા ૧૩થી ૧૫ જૂન દરમ્યાન લોડ ટેસ્ટ હાથ ધરી હતી. આ અઠવાડિયા સુધીમાં મંજૂરી મળવાની અપેક્ષા પાલિકાને છે. પાલિકા આગામી અઠવાડિયામાં આ બ્રિજ ખુલ્લો મૂકવા માગે છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ નવા બ્રિજના નિર્માણ બાદ ટ્રાફિક પોલીસ તેમની નિયમિત પ્રક્રિયા મુજબ ઈન્સ્પેકશન કરશે અને તેમની મંજૂરી બાદ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મસ્જિદ બંદર અને મોહમ્મદ અલી રોડ પરિસરના ટ્રાફિક માટે કર્ણાક બ્રિજ મહત્ત્વનો છે. નવો બ્રિજ દક્ષિણ મુંબઈ અને પૂર્વીય ઉપનગર વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કનેકટર બની રહેશે, જે વાહનચાલકોને ઈસ્ટર્ન ફ્રી વે અને નવી મુંબઈ સાથે જોડતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક સુધી લઈ જશે.
કર્ણાક બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી મધ્ય રેલવેએ તેને જોખમી જાહેર કર્યો હતો અને ઑગસ્ટ, ૨૦૨૨માં તેને તોડી પાડવામાં આવ્યો હતો. મસ્જિદ બંદર પરિસરમાં પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા આ બ્રિજનું કામ પાલિકાએ હાથ ધર્યું હતું.
કર્ણાક બ્રિજની કુલ લંબાઈ ૩૨૮ મીટર છે, જેમાં રેલવે હદમાં ૭૦ મીટરની છે. પાલિકાની હદમાં આવતા અપ્રોચ રોડની લંબાઈ ૨૩૦ મીટર અને છે, જેમાં પશ્ર્ચિમમાં ૧૦૦ અને પૂર્વમાં ૧૩૦ મીટરની છે. રેલવે પાટા પર પુલને ઊભા કરવા માટે આરસીસી પિલરની ઉપર ૫૫૦ મેટ્રિક ટન વજનના ૭૦ મીટર લાંબા, ૨૬.૫૦ મીટર પહોળા અને ૧૦.૮ મીટર ઊંચાઈના બે ગર્ડર બેસાડવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૫૦ મેટ્રિક ટન વજનના દક્ષિણ બાજુએ લોખંડના ગર્ડર ૧૯ ઑક્ટોબર, ૨૦૨૪ના અને ઉત્તર બાજુએ લોખંડના ગર્ડર ૨૬ અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રેલવે ભાગમાં ખસેડવામાં આવ્યા હતા. તે માટે સ્પેશિયલ બ્લોક લેવામાં આવ્યા હતા. ગર્ડર બેસાડવામાં આવ્યા બાદ બીજી ફેબ્રુઆરી, ૨૦૨૫થી પૂર્વમાં પાયાની ભરણીથી ડામર નાખવાનાં કામ ચાર મહિનામાં પૂરાં કરવામાં આવ્યાં છે.