મહારાષ્ટ્ર કેબિનેટે કટોકટીકાળના કેદીઓ માટેના માનદ્ વેતનની રકમ બમણી કરી, જીવનસાથીઓને લાભાર્થી તરીકે ઉમેર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં કટોકટીકાળ દરમિયાન જેલમાં બંધ વ્યક્તિઓને આપવામાં આવતી માનદ વેતનની રકમ બમણી કરવાને મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે મંજૂરી આપી હતી.
કેબિનેટે કારાવાસ ભોગવનારી વ્યક્તિના જીવનસાથીનું નામ પણ લાભાર્થી તરીકે ઉમેરવાનો નિર્ણય લીધો હતો. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા હેઠળની રાજ્ય કેબિનેટની બેઠકમાં ચાલુ ‘ગૌરવ યોજના’માં આ સુધારાઓને મંજૂરી આપવામાં આવી હતી.
આ યોજના હેઠળ હાલમાં આપવામાં આવતા લાભો હેઠળ કટોકટીમાં (1975-1977) એક મહિના માટે જેલમાં બંધ લોકોને માસિક રૂ. 5,000 પેન્શન મળે છે, જ્યારે તેનાથી વધુ સમય માટે કારાવાસ ભોગવનારા લોકોને દર મહિને રૂ. 10,000 મળે છે. કેબિનેટના નિર્ણય મુજબ આ રકમ બમણી કરવામાં આવશે.
હાલના નિયમ મુજબ જો જેલમાં બંધ લોકોનું મૃત્યુ થાય તો તેમના પરિવારને માસિક 2,500 રૂપિયા (એક મહિના કે તેથી ઓછી જેલની સજા માટે) અને 5,000 રૂપિયા (એક મહિનાથી વધુ જેલની સજા માટે) પેન્શન આપવામાં આવે છે.
આ યોજના ફડણવીસે મુખ્ય પ્રધાન તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2014થી 2019 સુધી) શરૂ કરી હતી. પાત્રતા ધરાવતા લોકોએ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરવાની હતી, જેની કલેક્ટરની આગેવાની હેઠળની સમિતિ દ્વારા ચકાસણી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો - સત્તા માટે ભાજપ સાથે જોડાનારા તકવાદીઓને પ્રોત્સાહન આપી શકતો નથી: શરદ પવાર
25 જૂન, 1975થી તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા કટોકટી લાદવામાં આવી હતી અને 21 માર્ચ, 1977 સુધી ચાલુ રહી હતી. 2020માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકારે પેન્શન યોજના બંધ કરી દીધી હતી, પરંતુ 2022માં એકનાથ શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવ્યા પછી તેને ફરીથી શરૂ કરવામાં આવી હતી.