લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોમાં વધતા ગુનાઓ રોકવા માટે પોલીસ તૈનાત કરાશે

મુંબઈઃ શહેરમાં તાજેતરમાં લાંબા અંતરની ટ્રેનોમાં થયેલી બે લૂંટની ઘટનાઓને પગલે સરકારી રેલ્વે પોલીસ (GRP)એ મહત્વનું પગલું ભર્યું છે. GRPએ ટ્રેનોમાં પેટ્રોલિંગ અને તકેદારીમાં વધારો કર્યો છે અને સામાન, ઘરેણાં અને મોબાઇલ ફોન ચોરીમાં સંડોવાયેલા ગેંગ પર કડક કાર્યવાહી કરી છે. રેલવે પોલીસ કમિશનર રાકેશ કલાસાગરે જણાવ્યું હતું કે GRP એ છેલ્લા પાંચ વર્ષમાં ચોરાયેલા મોબાઇલ ફોન શોધવા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે અને લાંબા અંતરની ટ્રેનોમાં કર્મચારીઓને તૈનાત કર્યા છે.
કલાસાગરે જણાવ્યું હતું કે મુંબઈથી દરરોજ એકત્રીસ લાંબા અંતરની ટ્રેનો નીકળે છે. હવેથી આ દરેક ટ્રેનમાં બે રેલવે પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તેઓ સમગ્ર ટ્રેનમાં પેટ્રોલિંગ કરશે અને રેલવે પોલીસ કમિશનરેટની હદ સુધી મુસાફરોનું રક્ષણ કરશે, જેનાથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવાશે.
ગુનાઓમાં નિરંતર વધારો
1 જૂનના રોજ લૂંટારુઓએ જયપુર-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા જોગેશ્વરી સ્થિત એક પરિવારને નિશાન બનાવ્યો હતો, ટ્રેન બોરીવલી પસાર થયા બાદ લૂંટારુઓ ₹ 7 લાખની રોકડ અને કિંમતી ચીજવસ્તુઓ ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા.
ડોક્ટર દિપાલીને લૂંટારુએ નિશાન બનાવી હતી
ત્યાર બાદ 5 જૂનના ભાંડુપ અને કાંજુરમાર્ગ વચ્ચે લોકમાન્ય તિલક ટર્મિનસ-નાંદેડ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી પનવેલ સ્થિત ડૉક્ટર દિપાલી દેશમુખને એક લૂંટારુએ નિશાન બનાવી હતી. લૂંટારુએ તેનું પર્સ ઝૂંટવી લેવા માટે તેને દરવાજા સુધી ખેંચી હતી. તેનો પતિ તેની પાછળ ગયો ત્યારે લૂંટારો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યો અને દંપતીને તેની પાછળ નીચે ખેંચી લીધું. આ ઘટનામાં દિપાલીના પતિ યોગેશ દેશમુખ, જે પોતે પણ એક ડૉક્ટર છે, પડી જવાથી થયેલી ઇજાઓને કારણે તેમનો ડાબો હાથ કાપી નાખવો પડ્યો હતો.
વર્ષ 2022માં ચોરીના 12,000 કેસ
રેલવે પરિસરમાં લૂંટફાટના બનાવો વધી રહ્યા છે. GRPના ડેટા અનુસાર 2022માં ચોરીના 12,000 કેસ નોંધાયા હતા, જેમાં મોબાઇલ ફોનની ચોરીના કેસોનો પણ સમાવેશ થાય છે. 2024માં રેલવે સ્ટેશનના પરિસરમાંથી 11,143 મોબાઇલ ફોન ચોરાઈ ગયા હતા, જેના કારણે માસિક સરેરાશ મોબાઇલ ફોન ચોરીની સંખ્યા 928થી વધુ થઈ ગઈ હતી. આ વર્ષે જાન્યુઆરીથી મે દરમિયાન 3,576થી વધુ મોબાઇલ ફોનની ચોરી થઇ હતી, જેના કારણે માસિક સરેરાશ 715 થી વધુ થઈ ગઈ હતી.
આ પણ વાંચો - ભારતીયો પૈસા વાપરે છે કે વેડફે છે? કપડા કરતા દારૂમાં વધારે ખર્ચે છે ને પછી લે છે વીમા કવચઃ જાણો અહેવાલ…
આરપીએફમાં જવાનોની સંખ્યા ઓછી
તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને GRP એ ટ્રેનોમાં સુરક્ષા વધારવા અને ગુનાઓ અટકાવવા માટે અનેક પગલાં લીધાં છે. લાંબા અંતરની ટ્રેનોમાં સુરક્ષા વધારવાના પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે RPFમાં સ્ટાફની ભારે અછત છે, 758 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓમાંથી 25 ટકા જગ્યાઓ અધિકારીઓ માટે અને 16% જગ્યાઓ કર્મચારીઓ માટે છે. ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, એમ કલાસાગરે જણાવ્યું હતું.