ત્રણ સુપર ઓવર પછી આવ્યું પરિણામઃ જાણો, કોની સામે કોણ કેવી રીતે જીત્યું…

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): પુરુષોની ટી-20 ફૉર્મેટની મૅચ હોય કે લિસ્ટ-એ પ્રકારની મૅચ, ભૂતકાળમાં ક્યારેય કોઈ મૅચનું પરિણામ ત્રણ સુપર ઓવર પછી નહોતું આવ્યું, પરંતુ હવે એ હકીકત છે. સ્કૉટલૅન્ડમાં ટી-20 સિરીઝ ચાલી રહી છે જેમાં સોમવારે ક્રિકેટમાં નવો ઇતિહાસ રચાઈ ગયો. નેધરલૅન્ડ્સ (Netherlands) અને નેપાળ (Nepal) વચ્ચેની મૅચ ટાઇ (Tie) થયા બાદ નેધરલૅન્ડ્સે ત્રીજી સુપર ઓવર (3 super over)માં વિજય મેળવ્યો હતો.
આપણ વાંચો: ભારતીય ક્રિકેટરો નવી મુંબઈમાં રેકૉર્ડ સાથે ટી-20 સિરીઝની ટ્રોફી જીતી
કઈ સુપર ઓવરમાં શું બન્યું?
બન્યું એવું કે નેપાળના કૅપ્ટન રોહિત પૉડેલે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. વિકાટકીપર-બૅટ્સમૅન સ્કૉટ એડવર્ડસના સુકાનમાં નેધરલૅન્ડ્સે 20 ઓવરમાં સાત વિકેટે 152 રન કર્યા હતા. નેપાળે પણ 20 ઓવરમાં આઠ વિકેટના ભોગે 152 રન કર્યા એટલે મૅચ ટાઇ થઈ હતી.
પ્રથમ સુપર ઓવરમાં નેપાળે એક વિકેટે 19 રન કર્યા બાદ નેધરલૅન્ડ્સના પણ વિના વિકેટે 19 રન થયા હતા. હવે બીજી સુપર ઓવરનો સમય થયો જેમાં નેધરલૅન્ડસે એક વિકેટે 17 રન કર્યા બાદ નેપાળે પણ વિના વિકેટે 17 રન કર્યા હતા.
હવે તો હદ થઈ ગઈ. નવો ઇતિહાસ રચાવાનો શરૂ થઈ ગયો. ત્રીજી સુપર ઓવર શરૂ થઈ અને નેપાળે ચાર બૉલમાં બન્ને વિકેટ શૂન્યમાં ગુમાવી એટલે નેપાળનો પડકાર ત્યાં જ પૂરો થયો અને નેધરલૅન્ડસને એ ત્રીજી સુપર ઓવરમાં જીતવા ફક્ત એક રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
આપણ વાંચો: ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ટી-20 સિરીઝ જીતી લીધી…
નેધરલૅન્ડ્સના ઓપનર માઇકલ લેવિટે નેપાળના સંદીપ લમીછાનેના પહેલા જ બૉલમાં સિક્સર ફટકારીને ઐતિહાસિક મુકાબલામાં નેધરલૅન્ડ્સની જીત લખાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે સંદીપ લમીછાને નેપાળનો પીઢ ક્રિકેટર છે. તે 121 આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે. આઇપીએલમાં તે દિલ્હી કૅપિટલ્સ અને કોચી ટસ્કર્સ કેરલા વતી રમી ચૂક્યો છે.
નેધરલૅન્ડ્સનો ઝાક મૅન ઑફ ધ મૅચ
નેધરલૅન્ડ્સના 21 વર્ષીય ઑફ-સ્પિનર ઝાક લાયન-કૅચેટે મુખ્ય મૅચમાં ફક્ત 11 રન કર્યા હતા અને એક જ વિકેટ લીધી હતી, પરંતુ ત્રીજી સુપર ઓવરમાં તેણે ચાર બૉલમાં બે વિકેટ લઈને નેપાળની આગેકૂચ અટકાવી દીધી હતી એ બદલ તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
પુરુષોની પ્રોફેશનલ ક્રિકેટની ટી-20 મૅચમાં મૅચનું પરિણામ ત્રીજી સુપર ઓવર બાદ આવ્યું હોય એવું પહેલી જ વખત બન્યું છે.
આપણ વાંચો: બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ માટે સૂર્યાની કૅપ્ટન્સીવાળી ટીમ જાહેર, જાણો ટીમમાં કોણ-કોણ છે
ભારતીય મૂળના વિક્રમજીતનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ
નેધરલૅન્ડસને મુખ્ય મૅચમાં ભારતીય મૂળના ઑલરાઉન્ડર વિક્રમજીત સિંહનો પર્ફોર્મન્સ ખૂબ કામ લાગ્યો હતો. તેણે 29 બૉલમાં બે સિક્સરની મદદથી 30 રન કર્યા હતા અને પછી નેપાળના કૅપ્ટન રોહિત પૉડેલ (48 રન, 35 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સહિત કુલ બે વિકેટ પણ લીધી હતી. વિક્રમજીતનો જન્મ પંજાબમાં 2003ની સાલમાં થયો હતો. બાવીસ વર્ષનો છે. તે લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન અને રાઇટ-હૅન્ડ પેસ બોલર છે.