કચ્છમાં અકાળ મોતનો સિલસિલો યથાવત: માર્ગ અકસ્માતો અને આપઘાતથી વધુ ૬ લોકોએ જીવ ગુમાવ્યા…

ભુજ: કચ્છમાં બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓના વણથંભ્યા સિલસિલામાં વધુ છ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યાની સાથે વીતેલા બે દિવસમાં જ અકાળ મોતનો આંક ૧૨ પર પહોંચી જતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામની કેરાવન રોડવેઝ લિમિટેડમાં નોકરી કરનાર સતીષ પેઢીના ટ્રેઇલરમાં બેરિયમ સલ્ફેટ પ્રીસીપીટેટેડના પેકેટ ભરીને દિલ્હી જવા નીકળ્યો હતો. જવાહરનગર નજીક પંચરત્ન માર્કેટ સામે ઓવરબ્રિજ ઉતરતી વેળાએ આગળ કોઇ આડશ વગર ઉભેલા ટ્રેઇલરની પાછળ અન્ય ટ્રેઇલર ટકરાયું હતું. આ દરમ્યાન પાછળથી આવી રહેલા હતભાગીનું ભારે વાહન પણ આ ઊભેલાં ટ્રેઇલર સાથે અથડાયું હતું, જેમાં સતીષને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ટ્રિપલ અકસ્માતના આ બનાવ અંગે મનદીપ લીલુરામ સિવાચ (જાટ)એ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતનો બનાવ આદિપુરના મહારાવ સર્કલ (મુંદરા સર્કલ) નજીક ટાગોર રોડ ઉપર બન્યો હતો જેમાં નવીન ભીલ નામનો યુવાન ગત મોડીરાત્રે મેઘપર બોરીચી જઇ રહ્યો હતો ત્યારે ભીના રસ્તા પર મોપેડ સ્લીપ થતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અગાઉ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બે સંતાનના પિતાનાં મોતનાં આ કરુણ બનાવ અંગે તેના નાના ભાઇ પ્રકાશ અમરશી ભીલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન, ભુજના પધ્ધર ગામે રહેનારા હરેશે ગત સાંજના અરસામાં શ્રી રામકૃષ્ણ મિનરલ્સમાં ફરજ બજાવતી વેળાએ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પદ્ધર પોલીસે અકસ્માત મોત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક જીવલેણ બનાવ લોરિયા-ભીરંડિયારા માર્ગ પર બન્યો હતો જેમાં ટ્રકને નડેલા અકસ્માતમાં ઉરસ ખાન નામના ચાલકનું મોત નીપજ્યું હતું જયારે તેના ભાઈ હયાત ખાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખાવડા પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
10 ની પૂરક પરીક્ષાની તૈયારી કરનારી વિદ્યાર્થિનીની આત્મહત્યા
બીજી તરફ, નખત્રાણાના રવાપરમાં રહેતી અને ધોરણ 10 ની પૂરક પરીક્ષાની તૈયારી કરનારી હતભાગી રિંકલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. પૂરક પરીક્ષામાં નાપાસ થવાના ડરમાં તેણે અંતિમ પગલું ભરી લીધું હોવાનું નખત્રાણા પોલીસ માની રહી છે. વધુ એક આપઘાતનો બનાવ અબડાસાના વલસરા ખાતે બન્યો હતો, જેમાં ગત તા. ૧૧-૬ના રોજ ખેતરમાં છાંટવાની દવા ગટગટાવી લેનારા ફિરોઝનું અમદાવાદની ખાનગી હોસ્પિટલના બિછાને ગત રાત્રે મોત થતાં વાયોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.