
અમરેલી: ગઇકાલે સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના રાજુલા અને સાવરકુંડલા તાલુકામાં પાણી ભરાવાના કારણે અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. જિલ્લા કલેકટર અજય દહિયા અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રની સમયસર કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
પીપાવાવ નજીક 24 લોકોનું સફળ રેસ્ક્યુ
રાજુલા તાલુકાના પીપાવાવ અને વિકટર ગામ વચ્ચે પાણી પુરવઠાની સાઇટ પર 24 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. આ વિસ્તારમાં કાચો માર્ગ પાણીથી તરબોળ થઈ ગયો હોવાથી તેમને બહાર કાઢવાનું મુશ્કેલ બન્યું હતું. જિલ્લા કલેકટરે તાત્કાલિક પીપાવાવ કોસ્ટ ગાર્ડને સૂચના આપી હતી. પીપાવાવ કોસ્ટ ગાર્ડ અને તેમની ટીમે ત્રણ બોટનો ઉપયોગ કરીને આ તમામને સુરક્ષિત રીતે વિકટર ગામની શાળા ખાતે ખસેડ્યા હતા.

સાવરકુંડલામાં બસના ૬ મુસાફરોને બચાવવા IAF હેલિકોપ્ટરની મદદ
સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા, જેમાં એક ખાનગી બસમાં સવાર છ મુસાફરો ફસાયા હતા. મુસાફરોએ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, જિલ્લા કંટ્રોલ રૂમ અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને જાણ કરતાં ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
રાજ્યના રાહત કમિશનરના નિર્દેશથી જામનગર એરફોર્સનું હેલિકોપ્ટર ફીફાદ ખાતે મોકલવામાં આવ્યું હતું. આ દરમિયાન, ગારિયાધાર તરફના માર્ગેથી પ્રયાસો કરીને છમાંથી પાંચ મુસાફરોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એક મુસાફર ઝાડ પર ચડી ગયો હતો, જેને બચાવવા માટે ફાયર ટીમને બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી, અને તેને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
અન્ય વિસ્તારોમાં પણ રેસ્ક્યુ કામગીરી
આ ઉપરાંત, શેત્રુંજી નદીના કાંઠે આવેલા લીલીયા તાલુકાના બવાડી ગામના ખેતર વિસ્તારમાં ફસાયેલા છ નાગરિકો અને રાજુલા નગરપાલિકાની સત્યજીત સોસાયટી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા બે નાગરિકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.