
અમદાવાદ: અમદાવાદમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં 241 મુસાફરોના જીવ ગયા હતા. આ દુર્ઘટનાની રાહત કામગીરી દરમિયાન તંત્રને અનેક વસ્તુઓ મળી આવી હતી, જેમાં સોનાના દાગીનાનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ શહેર પોલીસે મૃતકોના પરિવારજનોને તેમની વ્યક્તિઓની વસ્તુઓ પરત મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. આ દુર્ઘટનામાં મૃતકના મૃતદેહ પરથી મળી આવેલ આશરે ₹4.5 લાખની કિંમતનો સોનાનો દાગીનો પોલીસે સઘન તપાસ બાદ તેમના પરિવારને સુપરત કર્યો હતો.
હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, “એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી, અમદાવાદ શહેર પોલીસે મૃતકના પરિવારને તેમના પ્રિયજનનો સામાન પાછો મળે તે સુનિશ્ચિત કરવા માટે અસાધારણ પ્રયાસો કર્યા. વીણાબેન અઘેડાના મૃતદેહ પરથી મળેલો 4-5 તોલા વજનનો સોનાનો દાગીનો, જેની કિંમત આશરે ₹4.5 લાખ હતી, તેને ઝીણવટપૂર્વક શોધી કાઢવામાં આવ્યો અને તેમના પરિવારને પરત કરવામાં આવ્યો. પરિવારે પોલીસની પ્રામાણિક કામગીરીની પ્રશંસા કરી અને તેમની સેવા પ્રત્યેની નિષ્ઠા બદલ આભાર વ્યક્ત કર્યો. અમદાવાદ પોલીસ, આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રને તેમની અસાધારણ સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન!
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદથી જ પોલીસ વિભાગ દ્વારા સતતપણે કામગીરી કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા શહેર પોલીસની વિવિધ ટીમોને તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે મોકલીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસ વિભાગની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે દુર્ઘટનાના દિવસથી જ પોલીસ અને વહીવટીતંત્ર સતત રાહત, બચાવ અને વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત રહ્યું છે.
રાહત કામગીરીમાં પોલીસની મહત્વપૂર્ણ ભૂમિકા
૧૨મી જૂનના રોજ બપોરે દુર્ઘટનાના સમાચાર મળતાં તેમના સહિત પોલીસ દળોની વિવિધ ટુકડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ વિભાગે દુર્ઘટનાસ્થળે પહોંચીને તરત જ અન્ય એજન્સીઓ સાથે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળે ભીડને કાબૂમાં કરવા સાથે મૃતદેહો અને અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા તથા ટ્રાફિક અને વ્યવસ્થાના નિયમનમાં પોલીસ તંત્રએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
પોલીસ કમિશનરે જણાવ્યું કે આયોજનપૂર્વક અગ્નિશામકો અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઇ શકે. એસડીઆરએફ, એનડીઆરએફ અને એનએસજી, સીઆઈએસએફ, સીઆરપીએફ, બીએસએફ અને અર્ધલશ્કરી દળો સહિતની અન્ય ટીમો સાથે મળીને પોલીસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ સતત કામગીરી કરી હતી.
હોસ્પિટલથી લઈને મૃતકોના ઘર સુધી પોલીસની કામગીરી
એ જ રીતે, સિવિલ હોસ્પિટલ ખાતે પણ હોસ્પિટલના દરેક વિભાગો કે જ્યાંથી સગાઓને તેમના સ્વજનોના પાર્થિવ મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવે છે ત્યાં પણ પોલીસકર્મીઓ વ્યવસ્થા જાળવવાની કામગીરી કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ સાથે સુચારું સંકલન થકી પોલીસ વિભાગ ડીએનએ મેચિંગ બાદ દર્દીઓના સગાઓને પાર્થિવ દેહ સોંપવાની કામગીરીમાં પણ મદદરૂપ થઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસકર્મીઓ મૃતદેહોને તેમના નિવાસસ્થાન સુધી પહોચાડવા માટે પણ જઈ રહ્યા છે.