
કોલકાતા : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયા એર લાઇન્સ કંપનીઓ સતર્ક બની છે. જેની બાદ સેફટી ચેકમાં દેશમાં અનેક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી પ્રકાશમાં આવી રહી છે. જે અંતર્ગત અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે મંગળવારે કોલકાતા એરપોર્ટ પર મુસાફરોને ફ્લાઇટમાંથી નીચે ઉતારવા પડ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-180 રાત્રે 12:45 વાગ્યે શહેરના એરપોર્ટ પર સમયસર પહોંચી હતી. પરંતુ ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટ મોડી પડી હતી.
મુસાફરોને સવારે 5 વાગ્યાની આસપાસ ઉતાર્યા હતા
જેમાં સવારે 05:20 વાગ્યે વિમાનમાં પાઈલટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેમાં તમામ મુસાફરોને ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લાઈટના કેપ્ટને મુસાફરોને કહ્યું હતું કે આ નિર્ણય ફ્લાઇટ સલામતીના હિતમાં લેવામાં આવી રહ્યો છે.
ટેકનિકલ ખામી બાદ ફ્લાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું
જેમાં પ્રકાશમાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાના વિમાનનું ડાબું એન્જિન કોલકાતા એરપોર્ટના ટાર્મેક પર ઊભું છે. જ્યારે ગ્રાઉન્ડ સ્ટાફ વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યો છે. ટેકનિકલ ખામી બાદ વિમાન એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું.
ગઈકાલે પણ એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી
ઉલ્લેખનીય છે કે, સોમવારે હોંગકોંગથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઇટને ટેકનિકલ ખામીની શંકાને કારણે હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. ફ્લાઇટ 22,000 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી હતી, પરંતુ સાવચેતી રૂપે પાયલોટે બપોરે 1:15 વાગ્યે (સ્થાનિક સમય) પ્લેનને હોંગકોંગમાં સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. પ્લેનમાં ટેકનિકલ ખામી શું હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. એર ઈન્ડિયાના આ વિમાનની તપાસ કરવામાં આવી હતી.