અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ પ્લેન ક્રેશ: 83 મૃતદેહો સુપરત, 125 DNA મેચ થયા; સરકારી તંત્ર ખડેપગે…

અમદાવાદ: 12 મી જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સુપરત કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. સોમવાર મોડી સાંજ સુધીમાં કુલ 125 DNA સેમ્પલ મેચ થયા છે, જેમાંથી 83 મૃતદેહો તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

મૃતદેહોની સોંપણી
હાલ જે મૃતદેહો સુપરત કરવામાં આવ્યા છે તેમાં અમદાવાદના ૨૩, વડોદરાના 13, આણંદના 9, મહેસાણા અને ગાંધીનગરના 5-5, ખેડાના 3, અને જૂનાગઢ, અમરેલી, મહિસાગર, રાજકોટ, ઉદયપુર, જોધપુર, બોટાદ ખાતે 1-1 મૃતદેહનો સમાવેશ થાય છે.

સરકારી સહાય અને દસ્તાવેજોની સુવિધા
વહીવટી તંત્ર દ્વારા મૃતકોના સ્વજનોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તાત્કાલિક ધોરણે વીમા કંપનીઓ અને અન્ય સરકારી કે અર્ધસરકારી કચેરીઓમાં સરળતાથી કામ થાય તે માટે, સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરીને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, મૃતકોના પેઢીનામા સહિતના દસ્તાવેજો પંચો અને સાક્ષીઓના આધારે આપવામાં વહીવટી તંત્ર મદદરૂપ થઈ રહ્યું છે.

સંકલન અને સુપરવિઝન માટે વિશેષ વ્યવસ્થા
મૃતદેહો સોંપવાની કાર્યવાહી સરળતાથી અને સુચારુ રૂપે થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા 250થી વધુ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેઓ દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનો સાથે સતત સંકલનમાં છે. આ સમગ્ર કાર્યવાહીનું યોગ્ય રીતે સંચાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે સુપરવિઝન અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગનો સહયોગ
આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલના નિયમિત સ્ટાફ ઉપરાંત 855 જેટલો વધારાનો સ્ટાફ કાર્યરત કરવામાં આવ્યો છે, જે આ સંવેદનશીલ કાર્યવાહીમાં મદદરૂપ થઈ રહ્યો છે. આ પ્રયાસોથી પીડિત પરિવારોને દુઃખની આ ઘડીમાં મહત્તમ સહાય પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આપણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પ્લેનમાં સવાર 70 ટકા મુસાફરોએ કરી હતી આ મોટી ભૂલ, જાણો વિગત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button