મનોરંજન

વરવી વાસ્તવિકતાઃ સોશિયલ મીડિયામાં ત્રણ લાખ ફોલોઅર્સ, પણ સ્મશાન યાત્રામાં માત્ર ત્રણ જ આવ્યા…

સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કમલ કૌર ભાભીની હત્યા અને તેનાં અગ્નિસંસ્કાર ફરી સોશિયલ મીડિયાને ચર્ચામાં લાવી દીધું છે. કૉમ્પ્યુટર્સ આવ્યા બાદ, ટેકનોલોજીના વિકાસ બાદ સંદેશા વ્યવહારની સવલતો વધતા માણસનું જીવન ઝડપી અને સુવિધાઓવાળું બન્યું. આર્થિક વ્યવહારોથી માંડી સંબંધીઓ સાથેના સંપર્ક વધારવામાં ઈન્ટરનેટનો ઘણો મહત્વનો ફાયદો છે. એવું એક પણ ક્ષેત્ર લગભગ નથી જ્યાં ઈન્ટરનેટનો ઉપયોગ થતો ન હોય અને તેણે માનવજીવનને મદદ કરી ન હોય. ત્યારબાદ સોશિયલ મીડિયા આવતા લોકો દુનિયાના કોઈપણ ખૂણે હોય એકબીજાના સંપર્કમાં આવવા લાગ્યા અને સાથે મનોરંજન પણ મોબાઈલથી જ મળવા લાગ્યું.

આ સાથે એક નવી જ પ્રજાતિએ જન્મ લીધો એને તે છે સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર. એક્સ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના પ્લેટફોર્મ પર પ્રોડક્ટ્ની માર્કેટિંગથી માંડી દેશ વિદેશના પ્રવાસન સ્થળોની માહિતી ઉપરાંત ઘણું સસ્તુ કહી શકાય તેવું મનોરંજન પિરસાવા લાગ્યું અને તેમાંથી કમાણી પણ થવા લાગી. ઘણા ઈન્ફલુઅન્સરો આ કામ કરી લાખોપતિ બની ગયા અને અમુકે કે તો કરોડોમાં પણ કમાણી કરી, પરંતુ આ વર્ચ્યુઅલ વિશ્વમાં માણસ એટલો તો ખોવાઈ ગયો કે વાસ્તિવક જીવન સાથે તેનું કનેક્શન ઓછું થતું ગયું અને ઘણા ઈન્ફ્લુઅન્સરોના તો ગુનાહિત જીવન પણ બહાર આવ્યા તો ઘણા ગુનાખોરીનો ભોગ પણ બન્યા.

X

કમલ કૌર પણ બનાવતી હતી ક્રિંજ કન્ટેન્ટ
કમલ કૌર ભાભીના નામથી જાણીતી ઈન્ફ્લુઅન્સરની હત્યા થઈ ત્યારે સોશિયલ મીડિયા અને રિયલ લાઈફ વચ્ચેનું અંતર પણ બહાર આવ્યું. કમલ કૌર ભાભીના નામથી જાણીતી ઈન્ફલુઅન્સનું અસલી નામ કંચન હતું અને તે લુધિયાણાની હતી. કમલ કૌર ભાભીના ઈન્સ્ટાગ્રામ પર ચાર લાખ અને યુ ટ્યૂબ પર લાખો સબ્સ્ક્રાઈબર હતા. કમલ કૌર ક્રીંજ અને અશ્લીલ કહી શકાય તેવા ચેનચાળા સાથે વીડિયો પોસ્ટ કરતી. જોકે આ તેની માટે રોજીરોટીનું સાધન પણ હતું. કમલ કૌરના પિતાનું સાતેક વર્ષ પહેલા મૃત્યુ થયું હતું અને મા અને બહેન માટે તે એકલી કમાનારી હતી.

Tribune 

પોતે ઈન્ફ્લુઅન્સર બની ગયા બાદ લેવિશ લાઈફ જીવતી અને મોંઘા કપડા, સેલૉમાં જવાની શોખિન હતી. આ ચકાચૌંધભરી જિંદગી તેને ગમી ગઈ હતી, પણ તેનાં ડબલ મિનિંગ વીડિયોને લીધે તે ટ્રોલ પણ થતી. અર્શ ડલ્લા નામના ગેંગસ્ટરે તેને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે કમલે તેમની વાત ન માનતા પોતાનું કામ ચાલુ રાખ્યું અને 11મી જૂને ભટિંડામાં તેની જ કારમાં તેની સડેલી લાશ મળી આવી હતી. પોલીસે આ કેસમાં બેની ધરપકડ પણ કરી હતી. પરિવારે ભટિંડામાં જ તેનો અગ્નિસંસ્કાર કરી નાખ્યો અને તે સમયે માત્ર ત્રણ જ જણ હાજર હોવાનું મીડિયા અહેવાલો કહે છે. તેનાં અગ્નિસંસ્કાર વખતે માત્ર માતા, બહેન અને એક બાઈ જ હાજર હતો. બીજો ભાઈ પણ ન હતો આવ્યો.

આ છે વરવી વાસ્તવિકતા
સોશિયલ મીડિયા પર કેટલા લાઈક્સ મળ્યા તે યુવાપેઢી માટે મહત્વનું થઈ ગયું છે. લાઈક ન મળવાથી સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાથી ઘણા યુવાનો ડિપ્રેશનમાં જતા રહેતા હોવાનું, હિંસક બની જતા હોવાનું બહાર આવે છે. મોબાઈલ કન્ટેન્ટ કે ગેમ્સ મામલે હત્યા થવાના કિસ્સા પણ છે. પોતે એક દુપટ્ટો ખરીદે, કે નવું પર્સ કે વૉલેટ ખરીદે કે ગામની નજીકના મંદીરમાં દર્શને જાય તો પણ લોકો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દે છે ને પોતાનો ફોટો કે સેલ્ફી કે વીડિયો કેટલાએ જોયો તે જોવામાં તેમનો આખો દિવસ નીકળી જાય છે. ટેકનોલોજી કે સોશિયલ મીડિયાનો વિરોધ ન કરી શકાય, પરંતુ તે પાછળની આપણી ઘેલછા આ ન્યૂઝ વાંચી ઓછી થાય તો સારું.

આપણ વાંચો : વિમાન દુર્ઘટના પર અભિનેત્રીની પ્રતિક્રિયાથી સોશિયલ મીડિયામાં થયો હોબાળો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button