ધર્મતેજ

શિવ રહસ્ય : હે સૂર્ય! તમે આટલા જ્ઞાની હોવા છતાં આવું આચરણ કઈ રીતે કરી શકો?

-ભરત પટેલ

સુકેશી ભગવાન શિવ પાસે વરદાન માગે છે કે, ‘પ્રભુ વરદાન તરીકે મને એક અવર્ણનીય અને અજય નગરી વસાવી આપો જે અંતરિક્ષમાં હોય.’ પ્રસન્ન ભગવાન શિવ તુરંત ભગવાન વિશ્ર્વકર્માને આદેશ આપ્યો કે સુકેશીને અંતરિક્ષમાં અવર્ણનીય અને અજય નગરી વસાવી આપો. ભગવાન વિશ્ર્વકર્માએ તુરંત અવકાશમાં સુંદર નગર વસાવી દીધું. સુકેશીનું આ નગર અવકાશમાં સૂર્યની માફક ઝળહળતું હતું. આથી પૃથ્વી પરના ઋષિમુનીઓ રાતને દિવસ સમજીને રાત્રે પણ યજ્ઞ કરતા હતાં. લોકો એવું અનુમાન લગાવી બેઠા હતાં કે ચંદ્રએ સૂર્યને જીતી લીધો છે. તેથી ચંદ્ર પણ સૂર્યની જેમ ચળકી રહ્યો છે. આવું સાંભળતાં જ સૂર્યદેવનો ક્રોધ આસમાને પહોંચી ગયો. તેમણે આ નગરને આકાશથી નીચે ઉતારી પાડવા પ્રખર તાપની વર્ષા કરી. આખું નગર એકદમ ગરમ થઈ ગયું.

અસુરો અસહ્ય તાપને લીધે ત્રાહિમામ પોકારી ગયા. નગર ધીરે ધીરે ખરતા તારાની માફક પૃથ્વી તરફ ગતિ કરવા લાગ્યું. નગરના અસુરોને શાંતિ ધારણ કરવાનો અનુરોધ કરતાં સુકેશીએ કહ્યું કે, ‘દેવ, દાનવ કે માનવ દરેક જણ સુખ… સુખ…જ ઝંખ્યા કરે છે, પણ સુખની અનુભતી થતી નથી. શ્રદ્ધાવાન લભતે સુખમ ના સૂત્રાનુસાર સુખ માટે શ્રદ્ધા જોઈએ. પાપ-પુણ્યના સિદ્ધાંતો પર રાખેલી શ્રદ્ધા સુખ લઈને આવે છે. શ્રદ્ધાવાળો આત્મા જ અન્યને સુખનો માર્ગ દાખવી શકે છે. આજે આપણી નગરી દુ:ખના દાનાવળમાં સળગી રહી છે અને આકાશમાંથી આપણી નગરી પૃથ્વી તરફ ધસી રહી છે, ત્યારે આપણે શાંતિ રાખવાની જરૂર છે. સાચી શ્રદ્ધાવાળો જ સાચુ મન:સ્વાસ્થ્ય પામી શકે છે. આપણે ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ અને સાધનાના માર્ગે આપળ ધપવાનું છે. અટકવાનું માત્ર વિસામો લેવા માટે. વિસામો ગતિને વેગવંતી બનાવનાર હોય છે અને ગતિ કે પ્રગતિને વેગવંતી બનાવે તે જ વિસામો કહેવાય.’

વધુમાં જણાવતાં કહે છે કે, બાંધેલા કર્મો અવશ્ય ભોગવવા પડેલ છે, જ્યાં સુધી આત્મા કર્મપરવશ છે, ત્યાં સુધી આ સ્થિતિનો અંત આવશે નહીં, માટે જીવનમાં જો કોઈ મહાન પુરુષાર્થ કરવા જેવો હોય તો તે કર્મોના બંધનો તોડવા માટે કરવાનો છે. આપણે મન, વચન અને શરીર આમ ત્રણ પ્રકારથી સારાં અને ખરાબ કર્મો કરતાં હોઈએ છીએ. સારાં કર્મોનું ફળ સારું અને ખરાબ કર્મોનું ફળ ખરાબ મળ્યા વગર રહેતું નથી. કેટલાક કર્મોનું ફળ તુરત અને કેટલાક કર્મોનું ફળ ભવિષ્યમાં અને આ જન્મમાં ન મળે તો આવતા જન્મમાં પણ મળતું રહે છે. એનો મતલબ એ છે કે મન, વાણી અને કાયા વડે થયેલાં કર્મોનું ફળ મળ્યા સિવાય રહેતું નથી. કર્મ ત્રણ પ્રકારના છે – 1) સંચિત કર્મ 2) પ્રારબ્ધ કર્મ અને 3) ક્રિયમાણ

(પુરુષાર્થ) કર્મ.

પ્રથમ કર્મ એટલે સંચિત કર્મ: માનવે એક જન્મથી બીજા જન્મમાં અને બીજા જન્મમાંથી ત્રીજા જન્મમાં જમા કરેલા કર્મ. જેનું ફળ અત્યારે મળવાનું નથી એ ક્યારેક ભવિષ્યમાં મળવાનું હશે તેને સંચિત કર્મ કહેવાય છે.

દ્વિતીય કર્મ એટલે પ્રારબ્ધ કર્મ: માનવે કરેલા કર્મના ફળ મળવા માંડયા હોય કે કર્મ પરિપક્વ થઈને ફળ દેવા તૈયાર થયા હોય એવા કર્મને પ્રારબ્ધ કર્મ કહેવાય છે.

તૃતીય કર્મ એટલે ક્રિયમાણ (પુરુષાર્થ) કર્મ: માનવ પોતાના વર્તમાન જીવનમાં જે જે કર્મ કરે તેને ક્રિયમાણ કે (પુરુષાર્થ) કર્મ કહેવાય છે. પુરુષાર્થ કર્મ ખૂબ નજીકના ભવિષ્યમાં ફળ આપતું હોય છે. સુકેશીના ઉપદેશને દૈત્યગણ તલ્લીનતાથી સાંભળી રહ્યો હતો. વિચાર કરવા એ પણ એક છે, ચિંતન કરવું એ પણ એક કર્મ છે. મનુષ્ય પોતાનું ભાગ્ય પોતે જ લખે છે. તમારા જીવનમાં જો પારાવાર દુ:ખ હોય તો તેનું સર્જન પણ તમે જ કર્યું હશે અને જો તમારા જીવનમાં રાજયોગ હશે તો તેનું સર્જન પણ તમે જ કર્યું હશે. પોતાના કર્મ જ સુખ કે દુ:ખનું કારણ હોઈ શકે છે. પ્રત્યેક કર્મનું ફળ મોડું કે વહેલું મળતું જ હોય છે. સત્કર્મોનું ફળ સુખ છે તો દુ:ષ્કર્મનું ફળ દુ:ખ જ હોય છે. બેંકના એટીએમમાંથી એટલી જ રોકડ નીકળશે કે જેટલા તમારા ખાતામાં તમે રોકડા જમા કર્યાં હોય.

જમા કરેલા પૈસાથી વધુ રોકડ રકમ નીકળતી નથી. તેમ સત્કર્મ દ્વારા મેળવેલું સુખ ત્યાં સુખી યથાવત રહે છે કે જ્યાં સુધી તમે દુ:ષ્કર્મની શરૂઆત ન કરો. (કર્મયોગ સામે ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સમન્વય હોવો જોઈએ) કર્તવ્યનિષ્ઠા ધર્મનિષ્ઠા પૂર્વકની હશે તો જ જીવનમાં ભવ્ય દીપી ઉઠશે. કર્તવ્યની વેદી પર કુરબાન કરવાની પ્રેરણા આપે છે તે કર્તવ્યનિષ્ઠા. કર્તવ્યની ઉપેક્ષા કરશો નહીં તેમ જ કર્મફળની અપેક્ષા કરવી નહીં. જીવન ફક્ત કંઈ માગતું હોય તો એ પુણ્ય અને પાપની પરિભાષા એટલી જ છે કે પરોપકાર કરવો તે પુણ્ય અને બીજાને દુ:ખ આપવું તે પાપ છે. પુણ્યથી પ્રભુ પ્રસન્ન થાય છે અને પાપથી પ્રભુ નાખુશ થાય છે.

સુકેશીનો ઉપરોક્ત સંદેશ સાંભળ્યા બાદ અસુરો પણ સુકેશી સાથે ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા.

અસુરોની સંયુક્ત આરાધનાથી ભગવાન શિવની સમાધી તૂટી ગઈ. વાત જાણ્યા બાદ ભગવાન શિવનું ત્રીજું લોચન ખૂલ્યું. તે નેત્રમાંથી ક્રોધની જ્વાળાઓ લપકવા લાગી. સૂર્ય પર ભગવાન શિવની નજર પડતાં જ સૂર્યની કાયા ધ્રૂજવા લાગી. સૂર્ય પણ સુકેશી નગરની જેમ પૃથ્વી પર ઢળવા લાગ્યો.

અન્ય દેવતાઓ સૂર્યને કહ્યું. ‘આપ કાશીનગરી પાસે જ અવતરણ કરજો. કાશીનગરી શિવજીની રાજધાની છે, માટે તેમનું આ ક્ષેત્ર જ પસંદ કરજો. શિવજી તમારું કલ્યાણ કરશે.’

મુનિવર્યો અને બ્રહ્માજી મંદરાચલ પર્વત પર બિરાજમાન ભગવાન શિવ પાસે પહોંચી ગયા.

બ્રહ્માજી: ‘હે! મહાદેવ, આકાશમાં સૂર્યનું અસ્તિત્વ નહીં હોવાથી પૃથ્વીની સર્વ ક્રિયાઓ સ્થગિત થઈ ગઈ છે, તમે એને માફ કરો.’

ભગવાન શિવ: ‘હે સૂર્ય! તમે આટલા જ્ઞાની હોવા છતાં આવું આચરણ કઈ રીતે કરી શકો.’

સૂર્યદેવ: ‘હે પ્રભુ! મને માફ કરો, હું સુકેશીના દેવત્વને ઓળખી શક્યો નથી, હું તો તેમને માત્ર એક દૈત્ય સમજી રહ્યો હતો.’

ભગવાન શિવ: ‘સૂર્યદેવ આ તમને છેલ્લી વખત માફી મળી રહી છે, સુખી થાવ.’

ત્યાર બાદ બ્રહ્માજીએ સુકેશીના ઢળતા નગરને પોતાના હાથથી ઊંચકી મૂળ સ્થાને આકાશમાં પહેલાની જેમ જ સ્થિપિત કરી દીધું. સૂર્ય દેવ પણ પોતાના સ્થાને વિચરવા લાગ્યા. પૃથ્વીનું જીવન પહેલાની જેમ જ પૂર્વવત બની ગઈ.
સુકેશીનું નગર ભગવાન શિવની કૃપાથી ફરી આકાશમાં ઝળહળવા લાગ્યું. સૂર્ય દેવ પણ પોતાના પ્રત્યે અમીદૃષ્ટિ રાખવા લાગ્યા છે. (ક્રમશ:)

આપણ વાંચો : શિવ રહસ્ય: બંનેએ પોતાનો અહમ ઓગાળી સમાજ કલ્યાણ માટે કાર્ય કરવાના છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button