આજથી જળાશયોનાં રિર્ઝ્વ કવૉટાનું પાણી મુંબઈગરાને મળશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે પણ મુંબઈને પાણીપુરવઠો કરનારા જળાશયોમાં હજી સુધી સંતોષજનક વરસાદ પડયો નથી. સાતેય જળાશયોમાં પાણીની સપાટીમાં ધરખમ ઘટાડો થઈને પાણીનું સ્તર ૮.૬૯ ટકાએ આવી ગયું છે. તેથી સોમવાર, ૧૬ જૂન, ૨૦૨૫થી રાજ્ય સરકારની માલિકીના ભાતસા અને અપર વૈતરણામાં રહેલા પાણીના રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવામાં આવવાનો છે.
મુંબઈને અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મિડલ વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી આ સાત જળાશયમાંથી પ્રતિદિન ૩,૯૫૦ મિલ્યન લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે. મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવો હોય તો પહેલી ઓક્ટોબરના સાતેય જળાશયોમાં ૧૪,૪૭,૩૬૩ મિલ્યન લિટર જેટલો પાણીનો જથ્થો હોવો જોઈએ.
જોેકે છેલ્લા અનેક વર્ષોથી ચોમાસું અનિયિમિત હોવાને કારણે વરસાદ લંબાઈ જતા તેમ જ ગરમીનું પ્રમાણ વધારે હોવાને કારણે, પાણીના થતા બાષ્પીભવનને કારણે જળાશયોમાં પાણીની ઘટતી સપાટીને કારણે મુંબઈગરાને પાણીકાપનો સામનો કરવો પડયો છે.
આ વર્ષે ચોમાસાનું તેના નિયત સમય કરતા વહેલું એટલે કે ૨૬મેના જ આગમન થઈ ગયું હતું અને હવે ફરી ચોમાસું સક્રિય થયું છે. જોકે ચોમાસાના આગમન સમયે તેમ જ અત્યાર પણ મુંબઈ સહિત રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે પણ જળાશયોના કેચમેન્ટ એરિયામાં છૂટોછવાયો નામ માત્ર વરસાદ પડ્યો છે, તેને કારણે પાણીની સપાટીમાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે સવારના ૬.૩૦ વાગે સાતેય જળાશયોમાં ૧,૨૫,૮૨૫ મિલ્યન લિટર (૮.૬૯ ટકા) પાણીનો સ્ટોક હતો.
જળાશયોમાં પાણીની ઘટતી સપાટીને કારણે પાલિકાએ પાણીકાપ નહીં મૂકતા રાજ્ય સરકારની માલિકીના ભાતસામાંથી ૧.૪ લાખ મિલ્યન લિટર અને અપર વૈતરણામાંથી ૯૩,૫૦૦ મિલ્યન લિટર રિઝર્વ સ્ટોકને વાપરવાનો નિર્ણય લીધો છે, તે માટે અગાઉ જ રાજ્ય સરકારની મંજૂરી મેળવી લેવામાં આવી હતી. તે મુજબ સોમવાર, ૧૬ જૂનથી રિઝર્વ સ્ટોકનું પાણી મુંબઈગરાને આપવાનું ચાલુ કરવામાં આવવાનું હોવાથી પાલિકાના પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પાલિકાએ અગાઉ જ રાજ્ય સરકાર પાસેથી રિર્ઝવ સ્ટોકનો ઉપયોગ કરવા દેવાની મંજૂરી માગી હતી, જે સરકારે આપી દીધી છે. જોકે ચોમાસું ફરી સક્રિય થયું છે અને હવામાન વિભાગે સારા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, તેથી જળાશયોમાં પાણીની આવક થશે અને તેને કારણે મુંબઈગરા પર પાણીકાપ લાદવાની જરૂર પડશે નહીં એવું અમારું અનુમાન છે. તેમ જ જળાશયોમાં પાણીની સારી આવક થવાની સાથે જ રિઝર્વ સ્ટોકનો ઉપયોગ કરવાનું પણ બંધ કરવામાં આવશે, કારણે રાજ્ય સરકારની માલિકીના જળાશયોનું પાણી વાપરવા માટે તેમને પૈસા ચૂકવવા પડે છે.
જળાશયો છલકાવાની રવિવારની સપાટી રવિવારનો વરસાદ
જળાશયો | છલકાવાની સપાટી(મીટરમાં) | રવિવારની સપાટી(મીટર) | રવિવારનો વરસાદ |
અપર વૈતરણા | ૬૦૩.૫૧ | ૫૯૫.૫૩ | ૭.૦ |
મોડક સાગર | ૧૬૩.૧૫ | ૧૪૯.૮૪ | ૩૫.૦ |
તાનસા | ૧૨૮.૬૩ | ૧૨૦.૧૨ | ૪૩.૦ |
મિડલ વૈતરણા | ૨૮૫.૦ | ૨૩૯.૭૪ | ૧૪.૦ |
ભાતસા | ૧૪૨.૦૭ | ૧૦૮.૩૫ | ૧૮.૦ |
વિહાર | ૮૦.૧૨ | ૭૬.૨૪ | ૯.૦ |
તુલસી | ૧૩૯.૧૭ | ૧૩૪.૦૩ | ૨૮.૦ |