
અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાના વિમાન બોઈંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થવાના મુદ્દે અનેક બાબતો ચર્ચામાં આવી રહી છે. આ અકસ્માતના કારણો અંગે હજુ સુધી કોઇ નક્કર વિગતો પ્રકાશના આવી નથી. ત્યારે હાલ આ વિમાનના મેઇન્ટેન્સ મુદ્દે પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે એર ઇન્ડિયાના વિમાનોનું મેઇન્ટેન્સ તુર્કીયેની કંપની પાસે હોવાથી શક્ય છે કે કોઈ ષડયંત્ર રચવામાં આવ્યું હોય.
બોઇંગ 787-8 પ્લેનનું જાળવણી ટર્કિશ ટેકનિક કંપની પાસે નહોતું
જ્યારે આ અંગે ચર્ચા વધુ ઉગ્ર બની છે. ત્યારે તુર્કીયે દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તુર્કીયે એ કહ્યું કે અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787-8 પ્લેનનું જાળવણીનો કોન્ટ્રાક્ટ ટર્કિશ ટેકનિક કંપની પાસે નહોूતો. આવા જે પણ દાવા કરવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે ખોટા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024-25માં એર ઇન્ડિયા અને ટર્કિશ ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ મેઇન્ટેન્સ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે ખાસ કરીને B-777 પ્રકારના વાઇડ-બોડી એરક્રાફ્ટ માટેની હતી. જેમાં ક્રેશ થયેલ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર માટે કોઇ કરાર કરવામાં આવ્યો નથી.
અકસ્માતની તપાસ પૂર્ણ થયા પછી જ બહાર આવશે
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જોકે અમને ખબર છે કે ક્રેશ થયેલા વિમાનની જાળવણી કઈ કંપની કરી રહી હતી, પરંતુ આ બાબતો પર ટિપ્પણી કરવી અમારા અધિકારક્ષેત્રની બહાર છે. આ અકસ્માત અત્યંત દુઃખદ હતો. આ દુઃખની ઘડીમાં અમારી સંવેદના ભારતના લોકો સાથે છે. હાલ આ વિમાન અકસ્માત અંગે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે, આ ભયાનક અકસ્માતનું સત્ય અકસ્માતની તપાસ પૂર્ણ થયા પછી જ બહાર આવશે.