રાજકોટ

રાજકોટમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા વખતે આ રોડ રહેશે બંધ…

રાજકોટઃ શહેરમાં સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળશે. રાજકોટ શહેર તથા આજુબાજુના ગામોમાંથી બહોળા પ્રમાણમાં રાજકીય કાર્યકરો, વ્યાપારીઓ અને જનતા રામનાથપરા સ્મશાને જનારી અંતિમ યાત્રામાં જોડાવાની તથા દર્શનાર્થે આવવાની શક્યતા હોવાથી રાજકોટ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા આગામી સમયમાં જે દિવસે નિયત સ્થળો ખાતેથી સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રા પસાર થાય, તે દિવસે નિયત રૂટ ઉપરથી અંતિમ યાત્રાના પસાર થવાના એક કલાક પહેલા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી અને “નો-પાર્કિંગ” જાહેર કરવામાં આવ્યા છે.

આ રૂટ પર નીકળશે અંતિમ યાત્રા
રાજકોટ શહેરમાં પ્રકાશ સોસાયટીમાં “પુજીત” મકાનથી પ્રકાશ સોસાયટી મેઈન રોડ, નાગનાથ મહાદેવ મંદિર, નિર્મળા રોડ, કોટેચા ચોકથી કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર, મહિલા કોલેજ અન્ડર બ્રિજ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, રાજમંદિર ફાસ્ટ ફુડ ટી-પોઇન્ટ, ડો. દસ્તુર માર્ગથી યાજ્ઞિક રોડ, હરીભાઇ હોલ ચોક, રાડીયા બંગલા ચોક, માલવીયા ચોક, ત્રિકોણ બાગ ચોક, ઢેબર ચોક, આર.એમ.સી. ચોક, કેશુભાઈના દવાખાનાથી કરણસિંહજી ચોક, સાંગણવા ચોકથી રાજશ્રી સિનેમા, ભુપેન્દ્ર રોડ, પેલેસ રોડ ટી-પોઇન્ટ, કોઠારીયા પોલીસ ચોકી, વિરાણી વાડી ચોક, ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા સ્મશાન સુધી તથા ભાવનગર રોડ પર પાંજળાપોળથી રામનાથપરા સ્મશાન સુધી અને ગઢની રાંગ તરફ ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધીના રૂટના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી અને નો-પાર્કિંગ (અંતિમ યાત્રા સાથે જોડાયેલા અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવામાં આવ્યો છે.

હુકમનો ભંગ કરનારા સામે થશે કાર્યવાહી
અંતિમ યાત્રાના સમય દરમિયાન આ રૂટ ઉપર બન્ને બાજુની શેરીમાંથી કોઇ પણ પ્રકારના વાહનોના ચાલકો અંતિમ યાત્રાને ક્રોસ કરી શકશે નહીં. આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહીની, ફાયર બ્રિગેડના વાહનો અને સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વાહનચાલક શિક્ષાને પાત્ર ઠરશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગુરુવાર, તા.12 જૂને એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button