માહિમમાં ફૂડ સ્ટોલમાં લાગેલી આગમાં એકનું મોત: એસી-રિપેરિંગ કંપનીના માલિકની ધરપકડ

મુંબઈ: માહિમ વિસ્તારમાં આવેલા ફૂડ સ્ટોલમાં શુક્રવારે સાંજે લાગેલી આગમાં એક જણનું મોત થયું હતું, જ્યારે સાત જણ દાઝી ગયા હતા. પોલીસે આ પ્રકરણે સદોષ મનુષ્યવધના આરોપસર એસી-રિપેરિંગ કંપનીના માલિક અશોક નાઇકની શનિવારે ધરપકડ કરી હતી.
માહિમ પશ્ચિમમાં કેડલ રોડ પર દરગાહની પાછળ આવેલા મખદુમ ફૂડ સ્ટોલમાં સાંજે સાત વાગ્યાની આસપાસ સિલિન્ડર બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. સાંજનો સમય હોવાથી ત્યાં મોટી ભીડ હતી અને આગ લાગતાં આઠ જણ દાઝી ગયા હતા. આગની જાણ થયા બાદ અગ્નિશમન દળના જવાનો ત્યાં દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો: માહીમમાં ફૂડ સ્ટોલમાં આગ:ત્રણ જખમી, એકની હાલત ગંભીર…
આગમાં દાઝી ગયેલા તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એસી રિપેરિંગ મિકેનિક નૂર આલમ શેખનું મૃત્યુ થયું હતું.
દરમિયાન આ ઘટના બાદ માહિમ પોલીસે તપાસ આદરી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એસી-રિપેરિંગ કંપનીના માલિક નાઇકે તેના કામદારોને કોમ્પ્રેસરમાં નાઇટ્રોજન ગેસ ભરવાનું કામ સોંપ્યું હતું અને બાદમાં તે ચા પીવા જતો રહ્યો હતો. ગેસ ભરતી વખતે અચાનક બ્લાસ્ટ થયો હતો અને આગ લાગતાં નૂર આલમ શેખનું મૃત્યુ થયું હતું.