અમદાવાદ

અમદાવાદ પ્લેન દુર્ઘટના: 11 મૃતદેહોના DNA મેચ; બ્રિટિશ નાગરિકોના મૃતદેહ સોંપવા માટે બ્રિટિશ સરકાર સાથે સંકલન…

અમદાવાદ: ગુરુવારે 12 જૂનના રોજ સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રાહત, બચાવ અને ઓળખની કામગીરી અંગે માહિતી આપવા માટે આજે રાહત કમિશનર આલોક પાંડે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

શનિવાર સાંજ સુધીમાં 11 મૃતકોના DNA સેમ્પલ મેચ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ રજનીશ પટેલે જણાવ્યું કે, DNA મેચિંગની અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતા અને ઝડપથી કરવામાં આવી રહી છે. શનિવાર સાંજ સુધીમાં કુલ 11 મૃતકોના DNA સેમ્પલ સફળતાપૂર્વક મેચ કરી લેવાયા છે. જેમાંથી એક મૃત દેહની ઓળખ કરીને તેને સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ કોર્પોરેશને એક વિશેષ વ્યવસ્થા ગોઠવી
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશને એક વિશેષ વ્યવસ્થા ગોઠવી છે, જેના ભાગરૂપે મૃત્યુ પામેલા લોકોના ડેથ સર્ટિફિકેટ સ્થળ પર જ ઇશ્યૂ કરી શકાશે. આ ઉપરાંત, દરેક શોકગ્રસ્ત પરિવાર અને દરેક મૃતક વ્યક્તિ માટે વન-ઓન-વન ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અથવા તલાટી કક્ષાના અધિકારીનો સમાવેશ થાય છે. આ અધિકારીઓ મૃતદેહ સાથે એમ્બ્યુલન્સમાં પોલીસ સુરક્ષા સાથે સંબંધિત ગામ કે જિલ્લા સુધી જશે, જેથી પરિવારજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે. સરકારના આ પગલાથી પીડિત પરિવારોને ઝડપથી મદદ મળી શકશે અને કાયદાકીય પ્રક્રિયાઓ પણ સરળ બનશે.

તમામ મૃતકોના પરિવારજનોનો રાજ્ય સરકાર દ્વારા સંપર્ક
રાહત કમિશનર આલોક પાંડેના જણાવ્યા મુજબ, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ગુજરાતના 18 જિલ્લાના તમામ મૃતકોના પરિવારજનોનો રાજ્ય સરકાર દ્વારા સંપર્ક કરી લેવામાં આવ્યો છે. દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

મૃતદેહને ઘર સુધી પહોંચાડવા સહાય પૂરી પાડશે
આ ટીમ મૃતદેહને મૃતકના ઘર સુધી પહોંચાડવા માટે પરિવારની સાથે જશે અને તમામ પ્રકારની સહાય પૂરી પાડશે. જરૂરિયાત મુજબ પરિવારોને માનસિક સધિયારો આપવા માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારના કોલ સેન્ટર દ્વારા પણ પરિવારો સાથે સતત સંપર્કમાં રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. મૃતદેહ વતન પહોંચતાની સાથે જ, પરિવારજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક તલાટી દ્વારા તાત્કાલિક ધોરણે પેઢીનામું (Inheritance/Succession Certificate) કાઢી આપવામાં આવશે. આ પગલાથી વારસાઈ અને અન્ય સરકારી દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા સરળ બનશે.

બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે સતત સંકલન
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 11 વિદેશી નાગરિકોના પરિવારજનોનો તેમના દેશની એમ્બેસી મારફતે સંપર્ક કરવામાં આવ્યો છે અને DNA સેમ્પલ મેચિંગ માટેની આવશ્યક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, બ્રિટિશ નાગરિકોના મૃત દેહ તેમના પરિવારોને સરળતાથી સોંપી શકાય તે માટે બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા દીવના નાગરિકનું સ્વાસ્થ્ય હવે સ્થિર છે અને તેઓ સારવારને સારો પ્રતિસાદ આપીને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button