ભાજપે 2024ના વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં ક્યારેય કૃષિ લોનમાફીનું વચન આપ્યું જ નથી: ભાજપના પ્રધાન

મુંબઈ: એક તરફ રાજ્યમાં ખેડૂતોને લોનમાફી આપવાની માગણી જોર પકડી રહી છે ત્યારે ભાજપના અગ્રણી નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અત્યંત નજીકના ગણાતા નેતાએ એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે ભાજપે ચૂંટણી ઢંઢેરામાં ક્યારેય લોનમાફીનું વચન આપ્યું જ નહોતું.
મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા અતુલ સાવેએ શનિવારે કહ્યું હતું કે પાર્ટીએ 2024 વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ઢંઢેરામાં કૃષિ લોનમાફીનું વચન આપ્યું જ નથી.
અહીં ઉલ્લેખનીય છે કે વિપક્ષ દ્વારા સતત ભાજપ પર ખેડૂતોને લોનમાફી આપવાની માગણી સાથે પસ્તાળ પાડવામાં આવી રહી છે.
આ પણ વાંચો: જો તમે કૃષિ લોન માફ ન કરી શકો તો ખુરશી છોડી દો: સપકાળ
ભૂતપૂર્વ પ્રધાન બચ્ચુ કડુ દ્વારા કરવામાં આવી રહેલી ભૂખ હડતાળ વિશે પૂછવામાં આવતા તેમણે હિંગોલીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘ભાજપના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ લોન માફી આપવાનું કોઈ વચન આપવામાં આવ્યું જ નથી.’
અહીં ઉલ્લેખનીય છે કે પ્રહાર જનશક્તિ પાર્ટીના સ્થાપક બચ્ચુ કડુએ ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા સંપૂર્ણ કૃષિ લોન માફીની તેમની મુખ્ય માગણી પર વિચાર કરવાનું સરકાર દ્વારા લેખિતમાં આશ્ર્વાસન આપ્યા બાદ અમરાવતી જિલ્લાના તેવસા તાલુકાના ગુરુકુંજ મોઝારી ખાતે તેમની સાત દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. ખેડૂતોને લોનમાફી આપવાનું લેખિત આશ્ર્વાસન આપવામાં આવ્યું હોવા છતાં ભાજપના નેતા દ્વારા કરવામાં આવેલા નિવેદનને કારણે આગામી દિવસોમાં શાબ્દિક યુદ્ધ જોવા મળે એવા અણસાર છે.