આમચી મુંબઈ

બચ્ચુ કડુનું ભૂખ હડતાળ આંદોલન સ્થગિત! મહાયુતિ સરકારે ત્રણ આશ્વાસન આપ્યા…

સરકાર તરફથી લેખિત ખાતરી મળ્યા બાદ પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ આંદોલન સહિત અન્ય તમામ વિરોધને સ્થગિત કરવાની જાહેરાત કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ ખેડૂતોની લોન માફી સહિતની 17 વિવિધ માગણીઓ માટે શરૂ કરેલી ભૂખહડતાળ આખરે પાછી ખેંચી છે. મહાયુતિ સરકારે તેમના આંદોલનની નોંધ લીધી હતી અને બચ્ચુ કડુને લેખિત ખાતરી આપી. તે પછી બચ્ચુ કડુએ જાહેરાત કરી હતી કે તેઓ ભૂખ હડતાળ આંદોલન અને ચક્કા જામ આંદોલનને સ્થગિત કરી રહ્યા છે.

બચ્ચુ કડુએ ખેડૂતોની લોન માફી અને દિવ્યાંગો માટે ભંડોળ સહિતની 17 માગણીઓ માટે આઠમી જૂનથી ભૂખ હડતાળ આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન તિવાસા તાલુકાના મોઝરીમાં શરૂ થયું હતું. વિરોધ પક્ષના નેતાઓ સહિત વિવિધ સંગઠનોએ બચ્ચુ કડુના આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું.

રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આંદોલન સ્થળની મુલાકાત લીધી હતી અને બચ્ચુ કડુને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે બચ્ચુ કડુ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યારબાદ તેમણે સરકાર વતી બચ્ચુ કડુને લેખિત ખાતરી આપી હતી.

ખેડૂત લોન માફી માટે 15 દિવસમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની નિમણૂક કરવામાં આવશે. સમિતિનો અહેવાલ મળ્યા બાદ, લોન માફી અંગે નિર્ણય લેવામાં આવશે અને ડિફોલ્ટર ખેડૂતોની પાસેથી ફરજિયાત વસૂલાત સ્થગિત કરવા અને નવી લોન ફાળવવા અંગેનો નિર્ણય લેવા માટે એક બેઠક યોજવામાં આવશે.

દિવ્યાંગોના માનદ વેતનમાં વધારા અંગે 30 જૂનથી શરૂ થતા વિધાનસભાના સત્રમાં રજૂ થનારી પૂરક માગણીમાં જોગવાઈ કરવામાં આવશે, એવી પણ ખાતરી આપવામાં આવી હતી. સંબંધિત પ્રધાન અને મુખ્ય પ્રધાન સાથે બેઠક કરીને બાકીના મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવશે.

સરકારે મુખ્ય માંગણીઓ અંગે લેખિત ખાતરી આપ્યા બાદ, બચ્ચુ કડુએ જાહેરાત કરી હતી કે તેઓ ચક્કા જામ આંદોલન સ્થગિત કરી રહ્યા છે. ‘દરેક વ્યક્તિએ નોંધ લેવી જોઈએ કે સરકાર તરફથી લેખિત ખાતરી મળ્યા બાદ ભૂખ હડતાળ આંદોલન સ્થગિત કરવામાં આવ્યું છે. ઉપરાંત રવિવારે (15 જૂન) યોજાનાર ચક્કા જામ પણ મુલતવી રાખવામાં આવ્યો છે,’ એમ બચ્ચુ કડુએ સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button