અમદાવાદ પ્લેન દુર્ઘટના: મલ્લિકાર્જુન ખડગે અને અતિષી ઇજાગ્રસ્તોને મળ્યા, ટ્રોમા સેન્ટરની લીધી મુલાકાત…

અમદાવાદ: 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના ઘેરા શોક વચ્ચે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) એ આ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઇજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અતિષી આજે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળવા ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી.
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીધી મુલાકાત
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમાર સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં વિમાન દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકો સારવાર લઈ રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પાર્ટીના સાંસદ સૈયદ નસીર હુસૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનારા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોના પરિવારો પ્રત્યે તેમણે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
આપ નેતા અતિષીએ લીધી અમદાવાદની મુલાકાત
આ ઉપરાંત દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અતિષી આજે અમદાવાદ પહોંચ્યા હતા. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને “હૃદયદ્રાવક ઘટના” ગણાવતા અતિષીએ જણાવ્યું કે, “આ દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરોના કરુણ મોત થયા છે, જેમાં ઘણા મેડિકલ વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમે અહીં ટ્રોમા સેન્ટરની મુલાકાત લેવા આવ્યા છીએ.”
તેમણે આગળ જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી રાજ્ય સરકાર અને સ્થાનિક લોકોની સાથે ઊભી છે. અમારી સંવેદનાઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પરિવાર સાથે છે, જેમણે પણ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.” ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીના નિધનને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.