અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે યોજી પ્રથમ પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- બ્લેક બોક્સથી મળશે મહત્ત્વની જાણકારી…

નવી દિલ્હીઃ અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને ઉડાન ભરેલું એર ઈન્ડિયાનું પ્લેન એઆઈ-171 ગણતરીની મિનિટોમાં બી જે મેડિકલ કોલેજ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જોતજોતામાં એર ઈન્ડિયાનું વિમાન આગનો ગોળો બની ગયો હતો. દુર્ઘટનામાં વિમાનમાં સવાર 52 બ્રિટિશ નાગરિકો સહિત 241 લોકોનાં મોત થયા હતા, એક વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. આ મામલે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડૂ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ સમીર કુમાર સિન્હાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જાણકારી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે દુર્ભાગ્યપૂર્ણ વિમાનના બ્લેક બોક્સ ડેટાને ડીકોડ કરવામાં આવી રહ્યો છે, અનેક એજન્સીઓ અને ઉચ્ચ-સ્તરીય પેનલો આ ઘટનાની વ્યાપક તપાસ કરી રહી છે. બ્લેક બોક્સનો ડેટા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણ વિશે નિર્ણાયક માહિતી પૂરી પાડશે તેવી અપેક્ષા છે.

650 ફૂટની ઊંચાઈ પર હતું
સમીર કુમાર સિન્હાએ જણાવ્યું, 12 જૂને બપોરે આશરે બે વાગે અમને અમદાવાદથી ગેટવિક લંડન જતું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર મળ્યા હતા. અમે તરત જ એટીસી અમદાવાદનો સંપર્ક કરીને વિસ્તૃત જાણકારી મેળવી હતી. પ્લેનમાં 230 મુસાફરો, 2 પાયલટ અને 10 ક્રૂ મેમ્બર સવાર હતા. બપોરે 1.39 કલાકે ઉડાન ભર્યાની થોડી જ સેકંડમાં આશરે 650 ફૂટની ઊંચાઈ પર પહોંચ્યા બાદ વિમાન નીચે આવવા લાગ્યું હતું.

પાયલટે અમદાવાદ એટીસીને મે ડેની સૂચના આપી
તેમણે આગળ જણાવ્યું કે, 1.39 કલાકે પાયલટે અમદાવાદ એટીસીને મે ડેની સૂચના આપી હતી. એટીસી મુજબ, જ્યારે વિમાનનો સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી ત્યારે કોઈ જવાબ મળ્યો નહોતો. એક મિનિટ બાદ વિમાન મેઘાણીનગરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે એરપોર્ટથી આશરે બે કિલોમીટર દૂર છે. વિમાનના કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ સુંદર હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે પહેલા પેરિસ-દિલ્હી-અમદાવાદ સેક્ટરની ઉડાન કોઈપણ જાતની પરેશાની વગર પૂરી કરી હતી. દુર્ઘટના બાદ બપોરે 2.30 કલાકે રન વે બંધ કરવામાં આવ્યો હતો અને તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના રન વેને મર્યાદીત ઉડાન માટે ખોલવામાં આવ્યો હતો.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડૂએ કહ્યું , છેલ્લા બે દિવસ મુશ્કેલ રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ નજીક થયેલી દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. શું કરવું જોઈએ, કેટલી સહાય કરવી જોઈએ તે બધું જાણવા હું વ્યક્તિગત રીતે ઘટના સ્થળ પર ગયો હતો. ગુજરાત સરકારે પણ આમ કર્યું હતું. ભારત સરકાર અને મંત્રાલયના અન્ય લોકોએ પણ આમ કર્યું હતું.

તેમણે આગળ કહ્યું, જ્યારે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે જોયું કે તમામ સંબંધિત વિભાગની ટીમો કામ કરી રહી હતી અને બચાવ કામગીરી કરતી હતી. મૃતદેહોને વહેલી તકે હોસ્પિટલ મોકલી શકાય તે માટે આગ પર કાબુ મેળવીને કાટમાળ હટાવવામાં આવતો હતો.

આ ઉપરાંત તેમણે કહ્યું, આપણા દેશમાં સુરક્ષાના કડક માપદંડ છે. જ્યારે આ ઘટના બની ત્યારે અમને લાગ્યું કે, બોઈંગ 787 સીરિઝની તપાસ જરૂરી છે. સરકારે આ તમામની તપાસનો આદેશ આપ્યો છે. 34 વિમાન પૈકી 8 વિમાનની પહેલા જ તપાસ થઈ ચુકી છે અને બાકીના તમામ પ્લેનની ટૂંક સમયમાં તપાસ કરવામાં આવશે.

બ્લેક બોક્સ દ્વારા મળશે મહત્ત્વની જાણકારી
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા ચાલી રહેલી ટેકનિકલ તપાસમાં એક મહત્ત્વપૂર્ણ અપડેટ ગઈકાલે સાંજે 5 વાગ્યા આસપાસ ઘટનાસ્થળેથી બ્લેક બોક્સ મળવું છે. AAIB ટીમ માને છે કે બ્લેક બોક્સનું આ ડીકોડિંગ ઊંડાણપૂર્વક જાણકારી આપનારું છે. દુર્ઘટનાની પ્રક્રિયા દરમિયાન અથવા દુર્ઘટના પહેલાંની ક્ષણોમાં ખરેખર શું થયું હશે? તેની જાણકારી પણ બ્લેક બોક્સ દ્વારા જ મળશે. AAIB દ્વારા સંપૂર્ણ તપાસ પછી શું પરિણામ અથવા રિપોર્ટ સામે આવશે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ.

દરેક પાસાનું વિશ્લેષણ થશે
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાને એમ પણ કહ્યું કે અત્યારે જે પણ થિયરી ચાલી રહી છે, તપાસમાં તેનાથી સંબંધિત દરેક પાસાનું વિશ્લેષણ થશે. ત્રણ મહિનામાં વિસ્તૃત રિપોર્ટ બહાર પાડવામાં આવશે. રિપોર્ટમાં અકસ્માત ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટના ન બને તે અંગે ભલામણો કરવામાં આવશે.

આપણ વાંચો : પ્લેનના પાછળના ભાગેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો, શું હજી મૃત્યુનો આંકડો વધશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button