અમદાવાદ પ્લેન ક્રેશ: રાજ્ય સરકારની યુદ્ધના ધોરણે બચાવ-રાહત કામગીરી, પીએમ-ગૃહ પ્રધાન દ્વારા સતત દેખરેખ

અમદાવાદ: ગુરુવારે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટના બાદ, રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને મૃતદેહોની ઓળખ સુધીની કામગીરી સુચારુ રીતે પાર પાડવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની સંપૂર્ણ મદદ પૂરી પાડી હતી. એટલું જ નહીં, વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાને પોતે અમદાવાદ આવીને દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્તોને મળીને રાજ્ય સરકારને બચાવ-રાહત કામગીરી માટે સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના: બ્લેક બોક્સ અને DVR મળ્યા, રહસ્ય ખૂલવાની આશા
સઘન બચાવ અને રાહત કામગીરી
વિમાન દુર્ઘટનાના સ્થળે તુરંત જ બચાવ ટીમોને તૈનાત કરવામાં આવી હતી. આર્મીના ૨૫૦થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની ૧ ટીમ, અને NDRF-SDRFની ૩ ટીમોએ મોરચો સંભાળ્યો હતો. ફાયર સર્વિસીસની બે ટીમો માત્ર ૩ મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ૩૦થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું.
કુલ ૧૩૯ પ્રકારના વિવિધ ફાયરના સાધનો સાથે ફાયર સર્વિસીસના ૬૧૨ કર્મચારીઓએ વિમાનના કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં તથા આસપાસના વિસ્તારના ઘાયલોને સારવાર માટે પહોંચાડવામાં મદદ કરી હતી. મૃતદેહો અને માનવ અંગોને શોધવા માટે પોલીસતંત્રએ ખાસ ડોગ સ્ક્વોડને પણ કામે લગાડ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનાએ હ્રદય કંપાવ્યું! સિવિલમાં 70 થી 80 ડોક્ટર્સ 20 કલાકથી સતત સેવામાં ખડેપડે
ઇજાગ્રસ્તોની તત્કાલ સારવાર અને વ્યવસ્થા
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર ઊભો કરાવ્યો હતો, અને ૧૦૦થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી હતી.
ઇજાગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોકટરો અને પેરામેડિકલ ટીમ ખડે પગે રહી હતી. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી હતી.
આપણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટનાના રાજ ખોલશે બ્લેક બોક્સ, કેવી રીતે થશે તપાસ, કેટલો સમય લાગશે ?
પરિવારજનોને મદદ અને માહિતી માટે વિશેષ વ્યવસ્થા
રાજ્ય સરકારે આ દુર્ઘટનાને અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતાથી લઈને અસરગ્રસ્તો-ઇજાગ્રસ્તોના સગાં-સંબંધીઓને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન માટે ૪ આઈ.એ.એસ. અધિકારીઓને જવાબદારી સોંપી છે. SEOC ખાતે 16 નાયબ કલેક્ટરો અને 16 મામલતદાર સહિત મહેસૂલી તંત્રની ટીમ કાર્યરત કરવામાં આવી છે.
પ્લેનના મુસાફરોના સગાં-સંબંધીઓને યોગ્ય જાણકારી અને મદદ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ૨૪x૭ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોના સ્વજનો માટે અમદાવાદમાં રહેઠાણ અને વાહન સુવિધા પણ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવી છે.
મૃતદેહોની ઓળખ અને DNA સેમ્પલ પ્રક્રિયા
દુર્ઘટના સ્થળની આસપાસના રહેણાંક વિસ્તારના ભોગ બનેલા લોકો પૈકીના આઠ વ્યક્તિઓના મૃતદેહોની ઓળખ થતાં તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિઓના ૨૧૯ જેટલા સંબંધીઓ DNA ટેસ્ટિંગ અને બ્લડ સેમ્પલ માટે અત્યાર સુધીમાં આવ્યા છે અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. FSL ની 10 ટીમના 36 જેટલા નિષ્ણાતો આ માટે ૨૪x૭ ફરજરત છે.
આ દુર્ઘટના બાદ ૫૦ જેટલા વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાંથી ૧૬ને બહારના દર્દી તરીકે તથા ૩૧ને ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર અપાઈ રહી છે. આજે સાંજ સુધીમાં ૧૨ જેટલા ઇજાગ્રસ્તોને રજા આપવામાં આવશે.
વહીવટી અને માનસિક સહયોગ
રાજ્ય સરકારે વિમાનના મુસાફરો જે જિલ્લા-શહેરમાં વસવાટ કરતા હતા ત્યાંના કલેક્ટરતંત્રને સૂચનાઓ આપીને તેમના સ્નેહીજનોનો સામે ચાલીને સંપર્ક કરીને સાંત્વના આપી હતી અને સંબંધિત સંપર્ક માટે જરૂરી સહયોગ આપ્યો હતો.
કોમ્યુનિકેશન પ્લાન અંતર્ગત ખાસ ટીમોની રચના કરીને આ દુર્ઘટનાનો ભોગ બનેલા સ્વજનોનું કાઉન્સેલિંગ કરીને તેમને માર્ગદર્શન અને મનોબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારે દુર્ઘટના સ્થળે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથેની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા માર્ગ-મકાન વિભાગના 150 જેટલા કર્મીઓ, 41 ડમ્પર-ટ્રેક્ટર, 16 જેસીબી અને 3 એક્સકેવેટર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે.