આમચી મુંબઈ

અંધેરીમાં પ્રેમસંબંધનો વિરોધ કરનારા પિતાની હત્યા: પુત્રી-પ્રેમીની ધરપકડ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પ્રેમસંબંધનો વિરોધ કરનારા પિતાની બેરહેમીથી મારપીટ કરવામાં આવતાં તેનું મોત નીપજ્યું હોવાની અંધેરીમાં બનેલી ઘટનામાં એમઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્રી અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી. ઘાટકોપરના ભટવાડીમાં રહેતા શંકર કાંબળે (58)ની મોટી પુત્રી સોનાલી બાઈત (37) પરિણીત હોઈ તેને બે સંતાન છે. જોકે પતિથી અલગ થઈ 2022થી તે મહેશ પાંડે (27) સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. સોનાલી અને મહેશના પ્રેમસંબંધનો સોનાલીના પરિવારજનોએ વિરોધ કર્યો હતો.

પોલીસ ફરિયાદ અનુસાર મહેશ સાથેના સંબંધને મુદ્દે સોનાલીનો તેના પિતા શંકર કાંબળે સાથે વારંવાર વિવાદ થતો હતો. આ જ કારણે આઠમી જૂને કાંબળે અને મહેશ વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે મહેશે કાંબળેની મારપીટ કરી હતી. તે સમયે કાંબળેના પુત્રએ પોલીસમાં ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે સમજાવટ કરી મહેશને જવા દીધો હતો. દરમિયાન બુધવારની સાંજે અંધેરી-કુર્લા રોડ પરના મહેશ લંચ હોમ સામે સોનાલી અને મહેશે ફરી કાંબળેની મારપીટ કરી હતી. મધ્યસ્થી કરનારા કાંબળેના પુત્ર રાહુલની પણ મારઝૂડ કરાઈ હતી. મારપીટમાં ગંભીર ઇજા પામેલા કાંબળેને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે રાહુલની ફરિયાદને આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પ્રેમસંબંધના વિરોધને મુદ્દે કાંબળેની મારપીટ કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button