તંબાકુને મુદ્દે થયેલા વિવાદમાં યુવકની હત્યા: બે મિત્રની ધરપકડ

નાગપુર: નાગપુરમાં તંબાકુને મુદ્દે થયેલા વિવાદમાં 18 વર્ષના યુવકની હત્યા કરવા બદલ તેના બે મિત્રની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ઘટના 9 જૂનના રોજ બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ આર્યન વાહિલે તરીકે થઇ હતી. બલૂન ડેકોરેટર આર્યન આરોપી રાહુલ શ્યામ હઝારે (24) અને નાગેશ્ર્વર ઉર્ફે સોનુ મશરામ (23) સાથે ઘણીવાર કામ કરતો હતો.
આપણ વાંચો: રાજા રઘુવંશી મર્ડર કેસ: આખરે કોણ હતું આ હત્યાનું માસ્ટરમાઈન્ડ?
આર્યને 9 જૂને રાહુલ પાસે તંબાકુ અને સોપારીની માગણી કરી હતી, જેને પગલે બંને વચ્ચે વિવાદ થયો હતો, એમ અજની પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. વિવાદ ઉગ્ર બનતાં રાહુલે લોખંડનો સળિયો આર્યનના માથા ફટકારી દીધો હતો, જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તે બેભાન થઇ ગયો હતો.
દરમિયાન આર્યનને સારવાર માટે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં બીજે દિવસે તેનું મૃત્યુ થયું હતું.
શરૂઆતમાં તેને આકસ્મિક મૃત્યુ માનવામાં આવ્યું હતું, પણ પોર્સ્ટમોર્ટમમાં પુષ્ટિ થઇ હતી કે માથામાં ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)