આમચી મુંબઈ

અમદાવાદ પ્લેન ક્રેશમાં મુલુંડના રહેવાસી શ્રદ્ધા ધવનનું મૃત્યુ

એર ઈન્ડિયામાં સિનિયર ક્રૂ મેમ્બર હતા, પરિવાર આઘાતમાં

મુંબઈ: અમદાવાદ વિમાન અકસ્માતમાં મુંબઈમાં રહેનારી અને એર ઈન્ડિયાની સિનિયર ક્રૂ મેમ્બર શ્રદ્ધા ધવને પણ જીવ ગુમાવતા પરિવાર સાથે ટીમ મેમ્બર સૌથી મોટો આંચકો લાગ્યો હતો. છેલ્લા બે દાયકાથી એર ઈન્ડિયા સાથે સંકળાયેલી શ્રદ્ધાની અચાનક એક્ઝિટને કારણે પરિવારને સૌથી મોટો આઘાત લાગ્યો છે. ડીએનએની તપાસ મારફત તેના મૃતદેહની ઓળખ કરવામાં આવશે.

છેલ્લા 20 વર્ષથી એર ઈન્ડિયામાં ક્રૂ મેમ્બર તરીકે ફરજ બજાવતી હતી. મુંબઈના મુલુંડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી હતી. અકસ્માતને લઈ પરિવાર સાથે એર ઈન્ડિયાના સ્ટાફને પણ આઘાત લાગ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: ઉમદા સ્વભાવના કો-પાયલટ ક્લાઇવ કુંદરને મિત્રોએ શ્રદ્ધાંજલિ આપી

શ્રદ્ધા ધવનના પરિવારમાં પતિ, માતાપિતા અને પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે તેની દીકરી દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પતિ પણ એર ઈન્ડિયામાં કામ કરે છે અને બંનેનું વ્યાવસાયિક જીવન પણ લાંબા સમયથી એક જ કંપનીને સમર્પિત રહ્યું હતું. આ અકસ્માત પછી શ્રદ્ધાનો મૃતદેહ એટલો ખરાબ સ્થિતમાં મળ્યો હતો કે તેની ઓળખ કરવાનું શક્ય નહોતું. ડીએનએ પરીક્ષણ પછી મૃતદેહની ઓળખ કરવામાં આવશે. શ્રદ્ધાનો મોટો ભાઈ અમદાવાદ પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું.

પરિવાર માટે આ દુઃખ એટલું અસહ્ય બન્યું છે કે શ્રદ્ધાની માતાને અત્યાર સુધીમાં આ અકસ્માત અંગે જાણ કરી નથી. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ માતાના આરોગ્યને લઈ હાલમાં કોઈ જાણ કરી નથી, જ્યારે પરિવારે પણ મીડિયાને પણ પ્રતિક્રિયા આપવાની મનાઈ કરી હતી.

આ પણ વાંચો: પ્લેન ક્રેશ: બોઇંગ 787 અને જોન બોર્નેટની ચોંકાવનારી ચેતવણી, કોણ છે?

દરમિયાન શ્રદ્ધાની ક્લોઝ ફ્રેન્ડ (નામ જાહેર નથી કરવામાં આવ્યું) બોલી રહી હતી ત્યારે એના ગળામાં ડૂમો બાઝી ગયો હતો. તેણે જણાવ્યું કે ‘વર્ષો પહેલા અમે સાથે એર ઇન્ડિયામાં જોડાયા હતા. એ દિવસથી દરેક ટેકઓફ પહેલા અને લેન્ડિંગ પછી અમે એકબીજાને ફોન કરવાનું ચુક્યા નથી.

ગુરુવારે જ્યારે અમદાવાદથી શ્રદ્ધાનું પ્લેન ઉપડી રહ્યું હતું ત્યારે મેં વિચાર્યું હતું કે વિમાન લંડન ઉતરશે પછી હું તેની સાથે વાત કરીશ. પણ એ ફોન હવે ક્યારેય નહીં થાય. શ્રદ્ધાના અવસાન સાથે મારા અંતરાત્માનો એક હિસ્સો છૂટો પડ્યો છે. તેના શબ્દ શબ્દમાં તેમની મૈત્રી કેટલી ગાઢ હતી એ વર્તાઈ રહ્યું હતું, પરંતુ એ ગુરુવારે એ નિયમ પાળ્યો નહીં અને એનો અફસોસ રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: લંડનથી ભારત શિફ્ટ થવા આવેલી નર્સ રંજીતાનું કરુણ મૃત્યુ

શ્રદ્ધા કેવળ તેની સહકર્મચારી નહોતી હતી, એક એવી આત્મીય વ્યક્તિ હતી જેના પર એ પૂરો ભરોસો મૂકી શકતી હતી અને એનું માર્ગદર્શન મેળવતી હતી. તેમની દોસ્તી વિવિધ દેશોમાં જવા પૂરતી કે મુસાફરોને સર્વિસ આપવા પૂરતી સીમિત નહોતી. એક સહિયારા ભવિષ્યનું સપનું તેમણે જોયું હતું.

શ્રદ્ધાની ફ્રેન્ડ વાતો કરતા ગળગળી થઈ ગઈ અને વધુમાં જણાવ્યું કે એકવાર અમારા બાળકો જીવનમાં સેટલ થઈ જાય પછી શું કરવું એનું પ્લાનિંગ અમે કર્યું હતું. અમે લાંબા વેકેશન પર જવાનું નક્કી કર્યું હતું. જીવનના બે દાયકા આ ક્ષેત્રે લોકોની સેવામાં સમર્પિત કર્યા પછી દુનિયા ખૂંદવાના સપનાં અમે જોયા હતા. હવે જોકે એ બધા સપનાઓની સ્મૃતિ જ શેષ રહી છે.’

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button