મને બસ એક દિવસ આપી દો… એરહોસ્ટેસ સૈનિતાની માતાનો વલોપાત…

મુંબઈઃ અમદાવાદ ખાતે ગુરુવારે બનેલી પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાના પડઘા મુંબઈના જુહૂ કોલીવાડા સુધી અનુભવાયા હતા અને એનું કારણ હતું સૈનિતા ચક્રવર્તી. સૈનિતા ચક્રવર્તી એર ઈન્ડિયાના 12 ક્રુ મેમ્બર્સમાંથી એક હતી, જેનું આ પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. સૈનિતાએ થોડાક સમય પહેલાં ગો-એરની નોકરી છોડીને એર ઈન્ડિયા એરલાઈન્સમાં જોડાઈ હતી. આ તેના કરિયરની સૌથી મોટી ઉડાન હતી, જેના માટે તેણે વર્ષોથી મહેનત કરી હતી.
સૈનિતા ચક્રવર્તીના ફ્રેન્ડ નિકી ડિસુઝાએ આ વિશે જણાવ્યું હતું કે અમે લોકો નાનાથી મોટા સાથે થયા છીએ. તેણે માણેકજી કૂપર સ્કુલ અને ત્યાર બાદ મિઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ કર્યો. વર્ષો બાદ પણ તે જ્યારે મને એર હોસ્ટેસના યુનિફોર્મમાં જોવા મળતી ત્યારે મને ખૂબ જ આનંદ થચો. સૈનિકા એક ડેડિકેટેડ અને મહેનતી છોકરી હતી. તે આજે જે પણ મુકામ સુધી પહોંચી હતી ત્યાં પહોંચવા માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી અને જે સમાચાર સાંભળવા મળ્યા છે એ ખરેખર જ હાર્ટ બ્રેકિંગ છે.
સૈનિતાની માતા ખૂબ જ સદમામાં છે અને તેઓ એટલું જ કહી રહ્યા છે કે બસ મને એક દિવસ આપી દો, પહેલાં એને ઘરે આવી જવા દો… એક માતાનું હૈયાફાટ આક્રંદ કોઈનું ય કાળજું કંપાવી દે એવું છે. તેમની આંખો સતત ઘરના દરવાજાને જોઈ રહી છે અને એ આંખોમાં દીકરીના આવવાનો ઈંતેજાર ડોકાઈ રહ્યો છે.
ચુલબુલી અને હસમુખી પિંકીના હુલામણા નામે ઓળખાતી સૈનિતાની અણધારી વિદાયથી ઘર અને પરિસરમાં દુઃખની લહેર ફરી વળી છે. હાજર એકેએક વ્યક્તિ સૈનિતા માટે ન્યાય અને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
દરરોજની જેમ જ ગુરુવારે એટલે ગઈકાલે સૈનિતા પોતાના ઘરેથી હસતી રમતી નીકળી હતી, પણ કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હવે સૈનિતા ક્યારેય પાછી નહીં ફરે અને તેની ટેક ઓફ કરીને લાઈફનું પ્લેન અચાનક જ ક્રેશ થઈ જશે. સૈનિતાનું મૃત્યુ એક દુર્ઘટના નહીં પણ એક પરિવારના સપનાનો અંત છે, મિત્રોની મીઠીમધુરી યાદો પર પૂર્ણવિરામ છે.