અમદાવાદ પ્લેન ક્રેશઃ મુંબઈનો પરિવાર વિખેરાયો

મુંબઈ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી લંડનના ગેટવિક જવા ઉપડેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 બપોરે 1:40 વાગ્યે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર કુલ 242 યાત્રિકોમાંથી 241 પ્રવાસીના કરૂણ મોત થયા છે, જ્યારે માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું છે, જે સમગ્ર રાજ્ય માટે આઘાતજનક સમાચાર છે.
મુંબઈનો આખો પરિવાર વિખરાઈ ગયો
આ દુર્ઘટનામાં અનેક પરિવારો વિખેરાઈ થઈ ગયા છે, જેમાં મૂળ મુંબઈના રહેવાસી જાવેદ અલીનો લંડન સ્થિત આખો પરિવાર વિખેરાઈ ગયો છે. મળતી વિગતો અનુસાર, જાવેદ અલી (ઉ. વ.37), તેમના પત્ની મરિયમ અલી (ઉ. વ.35), અને તેમના બે બાળકો – 8 વર્ષનો પુત્ર ઝયાન અલી અને 4 વર્ષની પુત્રી અમીન અલીનું મોત થયું છે.
જાવેદ અલી 6 દિવસ માટે પોતાની માતાની હાર્ટ સર્જરી કરાવવા લંડનથી મુંબઈ આવ્યા હતા અને ઇલાજ કરાવીને પરત લંડન જઈ રહ્યા હતા ત્યારે આ દુઃખદ દુર્ઘટનાનો ભોગ ઘટના બની. આ ઘટના બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
આપણ વાંચો – પ્લેન ક્રેશની એ પળ ભયાનક હતીઃ 1,000 ડિગ્રીનું તાપમાન, પશુ-પક્ષી બચ્યાં નહીં!
સબંધી પોસ્ટમોર્ટમ રૂમની બહાર જોઇ રહ્યા છે રાહ
જાવેદ અલીના પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે તેમના સંબંધી રફીક શેખ અને તેમની પત્ની સવારથી જ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ડિપાર્ટમેન્ટની બહાર બેઠા છે. આ વિમાન દુર્ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશભરના અનેક મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકની લાગણી છે. વિમાન દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.