અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ચરોતરના 50 લોકો માર્યા ગયા, એક ડૉક્ટર અને 15 મહિલાનો સમાવેશ

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે થયેલી વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા જ્યારે 12 વિમાનના ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા પેસેન્જરોમાં 50 પેસેન્જરો ચરોતર પંથકના હતા.
ચરોતરના આણંદ-ખેડા જિલ્લામાં ભારે શોકનો માહોલ
આ અંગે મળતી માહિતી મુજબ ચરોતર પ્રદેશના આણંદ જિલ્લાના 33 અને ખેડા જિલ્લાના અંદાજે 17 જેટલી વ્યક્તિ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમના કરુણ મૃત્યુ થયા છે. આ તમામ મૃતકોના પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સરકાર દ્વારા ડીએનએ ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના 33થી વધુ મુસાફરો સવાર
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં આણંદના જાણીતા એનેસ્થીક 72 વર્ષના ડો. હિમાંશુ વસંતલાલ શેઠ નું પણ અવસાન થયું હતુ. ડો. હિમાંશુ શેઠ બ્રીટીશ પાસપોર્ટ ધરાવતા હતા અને ત્યાં પણ નોકરી કરતા હતા. આણંદ જિલ્લાના બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદના કુલ 33 યાત્રિકો વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક ડૉક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે.
ખેડા જિલ્લાના 17 જેટલા પેસેન્જર મૃત્યુ પામ્યા
આ ઉપરાંત ખેડા જિલ્લાના 17 જેટલા પેસેન્જર મૃત્યુ પામ્યા હતા. જેમાં નડિયાદ, કપડવંજ, ઠાસરા, કઠલાલ, મહેમદાવાદ, ઉત્તરસંડા, ડાકોરના મુસાફરો વિવિધ કારણોસર લંડન જઇ રહ્યા હતા