મુંબઈથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ, સુરક્ષિત રીતે મુંબઈ પરત ફર્યું

મુંબઈ : અમદાવાદથી લંડન જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે ક્રેશ થઇ જેમાં 241 લોકોના મોત થયા છે. ત્યારે આજે મુંબઈથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની બીજી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાયાની માહિતીથી મુસાફરો અને ઉડ્ડયન ક્ષેત્રમાં ગભરાટ ફેલાયો છે. શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન-હીથ્રો જતી ફ્લાઈટ AI-129 ને ટેકઓફ કર્યાના થોડા સમય બાદ ટેકનિકલ સમસ્યાને કારણે મુંબઈ પરત ફરવું પડ્યું.
હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાતા વિમાન પરત આવ્યું
મીડિયા અહેવાલ મુજબ, ફ્લાઈટ AI-129 સવારે 8:36 વાગ્યે ઉડાન ભરી હતી. પરંતુ હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી હોવાની માહિતી મળ્યા બાદ પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કર્યો અને વિમાનને મુંબઈ પાછું લાવવાનો નિર્ણય લીધો. આ વિમાનને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. મળતી માહિતી મુજબ, વિમાનની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને બીજા વિમાન દ્વારા લંડન મોકલવામાં આવી શકાય છે.