વિસાવદર પેટા ચૂંટણીઃ ભાજપ – કોંગ્રેસમાં ‘આપ’એ પાડ્યું ગાબડું
300થી વધુ કાર્યકર્તાએ આમ આદમી પાર્ટીમાં થયા સામેલ

વિસાવદરઃ ગુજરાતમાં વિસાવદર પેટા ચૂંટણી માટે પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. આજે ભાજપ અને કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. બિલખા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે 300થી વધુ કાર્યકરો આપમાં સામેલ થયા હતા.
ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
ભાજપના કેશોદ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ જય કેશવાલા અને કોંગ્રેસના વિસાવદર શહેર ઉપપ્રમુખ રાજુ મોકરીયા પણ આપમાં જોડાયા હતા. વિસાવદરથી આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ યુવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે, ભાજપની તાનાશાહી અને ભ્રષ્ટ વ્યવસ્થાથી કંટાળેલા યુવાનો હવે ઈમાનદારી અને વિકાસની રાજનીતિ તરફ વળી રહ્યા છે.
ક્યારે થશે મતદાન
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની બંને બેઠકો પર પેટા-ચૂંટણી માટે આગામી 19મી જૂનના રોજ મતદાન થશે. 23 જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે
વિસાવદર બેઠકનો ઇતિહાસ
જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પર લેઉવા પટેલોનો દબદબો છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પાટીદારો મોટાભાગે પાટીદાર ઉમેદવારને જીતાડે છે. આ બેઠક પર 2012ની ચૂંટણીથી ભાજપનો કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી.
ભૂપત ભાયાણીએ રિબડીયાને હરાવ્યા હતા
એક રીતે કહીએ તો ભાજપ આ બેઠક કોઈ પણ સ્થિતિમાં હાંસલ કરી શક્યુ નથી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવી ત્યારે પણ વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડીયાને 7,063 મતે હરાવ્યા હતા. વિસાવદર વિધાનસભા બેઠક પર હંમેશાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ રહ્યો છે.
વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 2023માં આમ આદમી પાર્ટીથી રાજીનામુ આપી, પાર્ટી છોડી ભાજપમાં કેસરિયો ધારણ કર્યો હતો. તેમની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરવામાં આવી હતી, જેના કારણે પેટા-ચૂંટણી યોજાઈ ન હતી.
હાલ વિસાવદર બેઠક ખાતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયા ઉતાર્યા છે. કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીમાં ઉતારશે એવી જાહેરાતથી વિસાવદર ખાતે આ પેટા-ચૂંટણી ત્રિપાંખીયો જંગ બની રહેશે.
વિસાવદર બેઠક પર મુખ્ય ધારાના રાષ્ટ્રીય પક્ષો સાથે પ્રાદેશિક પક્ષ પણ વિજયી બન્યા છે. 1962ની પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મદીનાબેન નાગોરી જીત્યા હતા. 1967માં સ્વતંત્ર પક્ષના કુરજીભાઈ ભેંસાણીયા વિજયી બન્યા હતા. 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકર વિજયી બન્યા હતા તો 1975માં કિસાન મજદૂર પ્રજા પાર્ટીના કુરાજી ભેંસણીયા જીત્યા હતા.
1980 અને 1985માં કોંગ્રેસના ધીરજલાલ રિબડીયા વિજયી બન્યા હતા. 1995માં ભાજપનો પ્રથમ વિજય પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે અપાવ્યો હતો. કેશુભાઈ પટેલ ભાજપથી 1995 અને 1998માં અને પોતાના પ્રાદેશિક પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી તરફથી 2012માં વિજયી થયા હતા. ભાજપ 2007 બાદ વિસાવદર બેઠક પર જીત મેળવી શક્યું નથી. કોંગ્રેસના હર્ષદ રિબડીયા 2014ની પેટા ચૂંટણી અને 2017ની વિધાનસભા ચૂંટણી જીત્યા હતા.
આ પણ વાંચો - ગુજરાતમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય પ્રધાને નાગરિકોની કરી આ અપીલ
2022 પહેલા હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે હાર્યા હતા. 1995માં ભાજપની જીત બાદ કેશુભાઇ પટેલ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. 2002 અને 2007ની બંને વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનનાર કનુભાઇ ભાલાળા રાજ્ય સરકારમાં કૃષિ પ્રધાન બન્યા હતા.
આ બેઠક પર કેશુભાઈ પટેલ ભાજપ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એમ બે રાજકીય પક્ષોથી જીત્યા છે, જે નોંધનીય છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે, 2007 બાદ વિસાવદર બેઠક પર સરકાર વિરોધી પક્ષના ઉમેદવારોને સ્થાનિક મતદારો મહોર મારી જીતાડે છે.
જેના કારણે રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સતત સંઘર્ષ કરવો પડે છે. રાજકીય પક્ષ, સરકારના કામ કરતા વિસાવદર પર ઉમેદવારનો ચહેરો જ ચાલે છે. સ્થાનિક મતદારો સ્થાનિક ઉમેદવાર પર ભરોસો કરીને જીતાડે છે. સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક અસ્મિતાના આધારે વિસાવદર વિધાનસભા બેઠક પર હાર-જીતનો નિર્ધાર થાય છે.