નેશનલ

રેલવેનો મોટો નિર્ણય: 24 કલાક પહેલા મળશે કન્ફર્મ ટિકિટની માહિતી, પ્રવાસીઓને રાહત

હાલ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા મુસાફરોને મોટી રાહત આપવામાં આવી શકે છે. ટૂંક સમયમાં મુસાફરોને 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશનનું અપડેટ મળી શકશે. હાલ આ અપડેટ માત્ર 4 કલાક પહેલા મળે છે. એક રિપોર્ટ પ્રમાણે, રેલવે પેસેન્જર ચાર્ટને ટ્રેન રવાના થવાના માત્ર ચાર કલાક પહેલા જાહેર કરવાના માપદંડના બદલે 24 કલાક પહેલા જ જાહેર કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. વર્તમાનમાં રેલવેની આ પદ્ધતિથી છેલ્લી ઘડી સુધી ટિકિટ કન્ફર્મ ન થતાં લાંબા અંતરની મુસાફરી કરતાં પ્રવાસીઓએ ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે. 24 કલાક પહેલા સીટ કન્ફર્મેશન અપડેટથી તેમને મોટી રાહત મળશે.

પાયલોટ રન શરૂ કરાયો

રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ, મુસાફરોને 24 કલાક અગાઉ સીટ કન્ફર્મેશનનું અપડેટ આપવા માટે 6 જૂનથી રાજસ્થાનના બીકાનેર ડિવિઝનમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી. અમે કોઈપણ સમસ્યાને ઓળખવા અને તેને સુધારવા માટે બીજા કેટલાક અઠવાડિયા સુધી આ પાયલોટ રન ચાલુ રાખીશું. ઉદાહરણ તરીકે, 100 કિલોમીટર કે તેથી વધુ દૂરથી આવતા યાત્રીઓને 24 કલાક પહેલા માહિતી મળતા તેઓ કોઈ પણ મુશ્કેલી વિના રેલવે સ્ટેશન પહોંચી શકશે.

24 કલાક પહેલા ચાર્ટ જાહેર કરવામાં કોઈ સમસ્યા નથી

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, જેમ કે તત્કાલ ટિકિટ ટ્રેનોના નિર્ધારિત પ્રસ્થાનના 48 કલાક પહેલા બુક કરવામાં આવે છે, તેથી એક દિવસ પહેલા પૂરો ચાર્ટ જાહેર કરવામાં કોઈ સમસ્યા નહીં થાય. રેલવે કન્ફર્મ રિઝર્વેશનવાળા યાત્રીઓની બીજી અને ત્રીજી યાદી જાહેર કરશે કે નહીં તે કન્ફર્મ નથી. કન્ફર્મ ટિકિટવાળા ઘણા યાત્રીઓ દ્વારા અંતિમ 24 કલાકની અંદર પોતાનું બુકિંગ અનિવાર્ય કારણોસર રદ્દ કરાવતા હોય છે.

રેલવે રિઝર્વેશન ચાર્ટ ક્યારે બને છે

સૂત્રએ જણાવ્યું કે, પાયલોટ રન પૂરો થવા દો અને પછી મુસાફરો હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવશે. અગાઉ, રેલવે રિઝર્વેશન ચાર્ટ સામાન્ય રીતે બે વાર તૈયાર કરવામાં આવતા હતા. પહેલો ચાર્ટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો અથવા અંતિમ ચાર્ટ ટ્રેનના પ્રસ્થાનના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો.

આ પણ વાંચો…લોકો પાયલટના આરામ પર રેલવેએ કાપ મુક્યો; અકસ્માતનું જોખમ વધશે? યુનિયને વિરોધ નોંધાવ્યો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button