ગુજરાત સરકાર દ્વારા પાઠ્ય પુસ્તકોના અપૂરતા સ્ટોક વિતરણથી વેપારીઓને આર્થિક નુકસાનની ભીતિ…

રાજકોટઃ ગુજરાતમાં સોમવારથી શૈક્ષણિક સત્રની શરુઆત થઈ હતી ત્યારે રાજકોટમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ હતી. સોમવારે પ્રથમ સત્રની શરુઆત થતા શાળા ખુલતા જ પાઠ્ય પુસ્તકો ખરીદવા વાલીઓ અને વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. ગાંધીનગરમાં આવેલા ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ સાથે જોડાયેલા રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડારમાંથી રાજકોટ શહેર અને જિલ્લાઓની દુકાનોમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. રાજકોટમાં પુસ્તકોનો માત્ર 30 ટકા સ્ટોક જ આવ્યો હતો. જેથી વેપારીઓને આર્થિક નુકસાન થયું હતું.
ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક સત્રની શરુઆતમાં જ વાલીઓને પુસ્તક મેળવવા માટે મુશ્કેલી પડી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠ્ય પુસ્તકોનો સંપૂર્ણ સેટ મળ્યો નથી. ધોરણ 1 થી 12 ના પાઠ્ય પુસ્તકોનો સંપૂર્ણ સેટ પહેલા રાઉન્ડમાં આવ્યો નથી. આ સિવાય બીજા રાઉન્ડમાં પણ પુસ્તકોનો રુ. 3.49 કરોડનો ઓર્ડર આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો સ્ટોક વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. પાઠ્ય પુસ્તકોના અડધા સેટથી વિદ્યાર્થીઓ અને વાલીઓને જે-તે વિષયના પુસ્તક મેળવવા માટે વારંવાર દુકાનના ધક્કા ખાવા પડે છે.
રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર જિલ્લા કક્ષાની સહકારી સંસ્થા છે. આ સંસ્થામાં ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા પુસ્તકોની વહેંચણી કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1થી 12ના પાઠ્યપુસ્તકો અપના બજારને આપવામાં આવે છે અને ત્યાંથી પુસ્તકોનું જિલ્લામાં વિતરણ કરવામાં આવે છે. જિલ્લા કક્ષાની સહકારી સંસ્થા હેઠળ 70 જેટલા વેપારીઓને પુસ્તકોની સોંપણી કરવામાં આવે છે. અપના બજાર દ્વારા રુ. 1.78 કરોડના પહેલા ઓર્ડરની સામે રૂ. 46,36,186ના પાઠ્યપુસ્તકો જ આવ્યા હતા, જ્યારે બીજો ઓર્ડરમાં રૂ.1.71 કરોડનો આપ્યો હતો જેની સામે રૂ.30,57,900ના પાઠ્યપુસ્તકો જ આવ્યા હતા. જ્યારે ત્રીજો ઓર્ડર રવિવારે રૂ. 1,01,62,305નો ઓર્ડર આપ્યો છે ત્યારે મંગળવારે પાઠ્યપુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તકોની અછતના પગલે કેટલાક પુસ્તકો બજારાં ઉપલબ્ધ નથી. જેમાં, ધોરણ 1માં ગુજરાતીના પાઠ્ય પુસ્તક, ધોરણ 6મા અંગ્રેજીના પાઠ્ય પુસ્તક, ધોરણ 8ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકો, ધોરણ 12ના કોમર્સ અને સાયન્સના પુસ્તકો સિવાય અર્થશાસ્ત્રના પાઠ્ય પુસ્તકો આવ્યા નથી. ધોરણ 1થી 12નો પૂરેપૂરો સેટ એક પણ રાઉન્ડમાં આવ્યો નથી. જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાએ જણાવ્યું હતું કે, અમે વેપારીઓને પાઠ્યપુસ્તકોનો પૂરો સેટ ન આપીએ એટલે વેપારીઓ પણ વાલીઓને પાઠ્યપુસ્તકોનો પૂરેપૂરો સેટ આપી શકતા નથી. જેથી વેપારીઓને 50 ટકા આર્થિક નુકસાની વેઠવી પડે છે. રાજ્ય સરકારને વહેલી તકે પુસ્તકોનો સ્ટોક પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે.
આપણ વાંચો : આગામી શૈક્ષણિક વર્ષથી 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર; આ કારણે લેવાયો નિર્ણય