ધર્મતેજ

ગીતા મહિમા ઃ ખરેખર ઉતાવળ છે?

-સારંગપ્રીત

ગત અંકમાં અલોલુપતાને દૈવી ગુણોમાં સ્થાન આપીને હવે ભગવાન કૃષ્ણ અચપલતાને સમજાવી રહ્યા છે.

ચપલતા એટલે ચંચળતા! ચંચલ મન કોઈ સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે એ વાત ભગવાને છઠ્ઠા અધ્યાયમાં કરી હતી. પરંતુ ઘણીવાર ઉતાવળ માટે ચપળતા અને ચંચળતાને જરૂરી ગણીને તેના પક્ષમાં લોકોને બોલતા સાંભળ્યા હશે. તો શું કાર્ય સિદ્ધિ માટે ઉતાવળ અનિવાર્ય તત્ત્વ છે?

માણસની ઉતાવળ અને અધીરાઈની વાત યાદ આવે છે ત્યારે થાય છે, ઉતાવળો તો માણસ પહેલેથી જ હશે. પણ હવે એમાં અનેક ગણો વધારો થઈ રહ્યો છે. ‘ઉતાવળે આંબા ન પાકે’ આ કહેવતનો મુખ્ય તાત્પર્ય છે કે દરેક કાર્યને પૂર્ણ થવા માટે પોતાનો એક નિશ્ર્ચિત સમય જોઈએ છે. તમારું કામ યોગ્ય પદ્ધતિ અને ધીરજ સાથે કરવું જરૂરી છે; ખોટી ઉતાવળ કરવી જોઈએ નહીં. આંબાને વાવવાથી લઈને તે પાકી જાય તે સુધીની એક કુદરતી પ્રક્રિયા છે. તે કઈ જે દિવસે વાવો તે દિવસ જ ના મળે.

તોય માણસ જંપીને ન બેસતો નથી. તેને જલદી લેવાના પ્રયાસમાં ઘણા પ્રયોગો કરીને પરિશ્રમ કરે છે. તોય તેને અમુક ચોક્કસ સમય તો લાગે જ છે. જો કે આ કૃત્રિમ પ્રયાસોમાં આંબાની ગુણવત્તા બગડી શકે છે.

આધુનિક યુગમાં આ ઉતાવળ હવે અધીરાઈમાં ફેરવાતી જાય છે. ચર્ચિલનું એક વાક્ય છે : અધીરાઈ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.

અને આપણા આ યુગમાં આપણને એ જ અધીરાઈ વળગેલી છે. એ જ ખરાબ ઝડપથી આપણે દોડી રહ્યા છીએ. અને એ ઝડપને કારણે જિંદગીની કેટલીયે સુંદર વસ્તુઓ આપણે છોડી રહ્યા છીએ. કેટલીયે વસ્તુ પાસેથી બેધ્યાનપણે પસાર થઈ રહ્યા છીએ, આગળ થઈ રહ્યા છીએ, પરંતુ કેટલુંક અતિ મૂલ્યવાન ગુમાવી રહ્યા છીએ.

ઉતાવળ આપણા સ્વભાવમાં છે. થોડા વરસ વરસાદ ન બરસે તો આપણા વિદ્વાનો જાહેર કરી દે છે કે, આપણે જંગલો કાપી નાખ્યા છે એટલે વરસાદ વરસવાનો જ નથી. આંકડાઓ સાથેની સાબિતી તૈયાર છે ! પરંતુ પરિણામ ઉતાવળા વિદ્વાનો વિરુદ્ધ જાય છે અને અચાનક અનરાધાર વરસાદ વરસવા માંડે છે. એક વરસ, અને બીજે વરસે તો વિદ્વાનો પોકારી ઊઠે છે, પૃથ્વીના હવામાનમાં પલટો આવી રહ્યો છે. સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ. સૂકા પ્રદેશોમાં હવે પછી ભારે વરસાદ પડશે ને વરસાદી ના પ્રદેશોમાં દુષ્કાળ પડશે.

વિજ્ઞાન હોય, સાહિત્ય હોય, રાજ્યવ્યવસ્થા કે સમાજવ્યવસ્થા, ગમે તે ક્ષેત્ર હોય, ઉતાવળા માણસો તમને દરેક ક્ષેત્રમાં મળી જ રહેશે, માણસ નાનો હોય કે મોટો હોય, વિદ્વાન હોય કે સામાન્ય હોય, ઉતાવળ એ સ્વભાવની વાત છે.

પરંતુ માણસ જો એના સ્વભાવને વશ થઈને જ ચાલ્યો હોત તો, આજે જે જેવો છે તેવો ન હોત. માણસે માણસ બનવા માટે પોતાના સ્વભાવને બુદ્ધિપૂર્વક સંસ્કાર્યો છે. પ્રયત્નપૂર્વકના સંસ્કારથી જ માણસ માણસ તરીકે પ્રગતિ કરી શક્યો છે. ઉતાવળ અને અધીરાઈ એ માણસના સ્વભાવનો એવો અંશ છે કે જેને કાબૂમા લેવા તે હજારો વર્ષથી પ્રયત્ન કરી રહ્યો છે.

સસલા અને કાચબાની પ્રખ્યાત વાત તે ઉતાવળ સામે ધીરજનું વિજયી દૃષ્ટાંત છે. પહેલી દૃષ્ટિએ કોઈ પણ માણસને એમજ લાગે કે, સસલું જ દોડવાની શરત જીતી જાય, કાચબો કદી જ જીતી ના શકે. પણ લાંબી દોડ હંમેશાં ધીરજથી જ જીતી શકાય છે. અને જિદંગી તો બહુ લાંબી, મેરેથોન દોડ છે. તેમાં ઉતાવળે લીધેલા નિર્ણય અથવા પગલાં નુકસાનકારક સાબિત થઈ શકે છે

અધ્યાત્મ માર્ગે ચાલતા મુમુક્ષુ માટે પણ ઉતાવળ હિતવાહ નથી. કોઈ મુમુક્ષુને બે પાંચ દિવસમાં સાધનાની સિદ્ધિ મળી જાય તે દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ આ બાબતે સારંગપુર પ્રકરણના ચોથા વચનામૃતમાં જણાવે છે કે ‘મુમુક્ષુને વાસના ટાળતાં ટાળતાં જો કાંઈક થોડી ઘણી વાસના રહી ગઈ તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય ને તે લોકને વિશે વૈભવને ભોગવે છે, પછી ત્યાંથી પડીને મનુષ્ય થશે અને મનુષ્ય અને મનુષ્ય થઈને વળી પાછી ભગવાનની ભક્તિ કરવી. વાસનાનું બળ દેખીને હિંમત હારવી નહીં. આનંદમાં ભજન કર્યા કરવું અને વાસના ટાળવાના ઉપાયમાં રહેવું.’ એમ હજારો વર્ષો જૂની વાસના ટાળવામાં ઉતાવળ તો ન જ ચાલે.

માટે ધીરજપૂર્વક મંડ્યા રહેવાથી સિદ્ધિ મળે છે. પછી તે અધ્યાત્મ ક્ષેત્ર હોય કે લૌકિક ક્ષેત્ર ! હા, ઉતાવળે આંબા ન પાકે પણ ધીરજનાં ફળ જરૂર મીઠાં હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button